![]()
Sabarmati River Cleanup Drive: સાબરમતી નદીની સફાઈના નામે શૉ-બાજી શરૂ કરી દેવાઈ છે. ચાર જ દિવસનો સફાઈ કાર્યક્રમ પણ હવે ‘મહાઅભિયાન’ ગણાશે! આ દરમિયાન 11 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પરના 31 ઘાટમાંથી ફક્ત પાંચેકની જ સફાઈ કરાશે. જેમાં આજે(3 જૂન) પ્રથમ દિવસે સવારે નેતાઓ, મંત્રીઓ, કોર્પોરેટરોએ સાવરણી સાથે ફોટો પડાવી પોતાનો ફાળો આપી દીધો હતો. જ્યારે બાદમાં વિદ્યાર્થીઓ, હોમગાર્ડ જવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓએ નદીના પટમાં ઉતરી 68 ટન જેટલો કચરો વીણી-વીણીને બહાર કાઢ્યો હતો.
11 કિમીની લંબાઈના રિવરફ્રન્ટ માટે માત્ર 4 દિવસની ઝુંબેશ, નેતાઓ ફોટો પડાવીને જતાં રહ્યાં
સાબરમતી નદી 15 એપ્રિલથી ખાલી કરાતા રિવરફ્રન્ટ પર રીતસરની દુર્ગંધ પ્રસરી ગઈ હતી. પરંતુ દોઢ મહિના સુધી વ્યવસ્થિત રીતે નદીની સફાઈનું આયોજન કરાયું નહીં. તેવામાં હવે સફાળા જાગીને મ્યુનિ. દ્વારા ચાર જ દિવસનો સફાઈ મહાઅભિયાન શરૂ કરાયો છે.
68 હજાર કિલો કચરો એકત્ર કરાયાનો AMCનો દાવો
AMC તંત્ર પોતે નદીની સફાઈની વ્યવસ્થા ન કરી શકતું હોય વિદ્યાર્થીઓ, યુવાનો, હોમગાર્ડ જવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓને આ સફાઈ અભિયાનમાં જોડાવવા વારંવાર અપીલ કરાઈ રહી છે. કેટલાક લોકો સ્વેચ્છાએ જોડાઈ પણ રહ્યા છે. ત્યારે આજે બુધવારે 7500થી વધુ નાગરિકોએ સફાઈ કામમાં જોડાઈ 68 હજાર કિલો કચરો એકત્ર કર્યો હોવાનો મ્યુનિ. દ્વારા દાવો કરાયો છે.
આ પણ વાંચો: બિલ્ડરોની સરકારને ચીમકી, અમારી સમસ્યા નહીં ઉકેલો તો 30 જૂનથી મિલકતોના ભાવ 20% વધશે
હંગામી ધોરણે આ આયોજન તો કરી દેવાયું છે. પરંતુ ચાર દિવસમાં 11.3 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટના આશરે 31 ઘાટમાંથી પૂર્વ અને પશ્ચિમના થઈને માંડ પાંચેક ઘાટ પાસે સફાઈ કરવાનો કાર્યક્રમ ગોઠવાયો છે. હવે તો દર વર્ષે નદી ખાલી કરી સફાઈના આવા ડ્રામા કરાય છે. એટલે પાછલા બારણે આખું વર્ષ નદીમાં કેમિકલયુક્ત અને ડ્રેનેજના પાણી ઠાલવી શકાય!










