![]()
Haryana Crime: હરિયાણાના જાણીતા ગાયક રાહુલ ફાજિલપુરિયા પર થયેલા ગોળીબારની ઘટનાના મુખ્ય આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ સુનિલ સરધાનિયાને સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચથી ભારત લાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈન્ટરપોલની મદદથી સુનિલ સરધાનિયાનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું અને હવે તેને ભારતીય પોલીસને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે, સુનિલને દિલ્હી એરપોર્ટ પરથી સીધો ગુરુગ્રામ લાવવામાં આવશે, જ્યાં પોલીસ તેની સઘન પૂછપરછ કરશે.
સુનિલ સરધાનિયા પર અનેક આરોપ
અહેવાલો અનુસાર, સુનિલ સરધાનિયા પર માત્ર રાહુલ ફાજિલપુરિયાની કાર પર ગોળીબાર કરાવવાનો જ નહીં, પરંતુ ફાજિલપુરિયાના નજીકના મિત્ર અને પ્રોપર્ટી ડીલર રોહિત શૌકીનની હત્યા કરાવવાનો પણ આરોપ છે. ગુરુગ્રામના સેક્ટર 77માં એસપીઆર રોડ પર બાઇક પર આવેલા હુમલાખોરોએ રોહિત શૌકીનની હત્યા કરી હતી. આ ઘટના બાદ સુનિલ સરધાનિયાએ સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા
રાહુલ ફાજિલપુરિયા પર ફાયરિંગ
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા ગુરુગ્રામના એસપીઆર રોડ પર રાહુલ ફાજિલપુરિયાની કાર પર બે રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તે આબાદ બચી ગયા હતા.
ગેંગ વોર અને કરોડોના વ્યવહારો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર મામલો ગેંગ વોર અને કરોડો રૂપિયાના પ્રોપર્ટી વ્યવહારો સાથે જોડાયેલો છે. રોહિત શૌકીનના મિત્ર દીપક નંદલને પણ લોન ચૂકવવામાં નિષ્ફળ જવા બદલ મુખ્ય શંકાસ્પદ માનવામાં આવ્યો હતો, જેના કારણે બંને વચ્ચે વિવાદ થયો હતો. પોલીસે આ કેસમાં અન્ય ઘણાં શૂટરોની ધરપકડ પણ કરી હતી.
સુનિલ સરધાનિયાનું ભારત પરત આવવું આ સમગ્ર ગેંગ વોર અને ફાયરિંગ કેસમાં નવા અને મોટા ઘટસ્ફોટ કરી શકે છે, જેનાથી ગુરુગ્રામ પોલીસને કેસના મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે.










