![]()
Surat Corporation : સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં ત્રણ ટીપી સ્કીમમાં આવેલા રહેણાંક સોસાયટી પર મુકવામાં આવેલા રિઝર્વેશન હટાવવા ખાતરી આપ્યા બાદ પણ અમલ ન થતાં સોસાયટીના લોકોએ આક્રમક આંદોલન કરવા માટે તૈયારી શરુ કરી દીધી છે. અસરગ્રસ્ત 70 થી વધુ સોસાયટીના પ્રમુખની એક બેઠક મળી હતી જેમાં જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જો રિઝર્વેશન હટાવવામાં નહી આવે તો ચૂંટણી બહિષ્કાર કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 49-50 અને 51માં રહેણાંક વિસ્તારમાં રિઝર્વેશન મુકાયા હતા. આ રિઝર્વેશન કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા શહેરી વિકાસ મંત્રી બન્યા ત્યારે હટાવી લેવાયા હતા. પરંતુ બીજી વખત મંત્રીમંડળની રચના થયા બાદ ફરીથી આ રહેણાંક મિલકત પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા. આ રિઝર્વેશન લોકોની રહેણાંક સોસાયટી, સોસાયટીની વાડી અથવા ખુલ્લા કોમન પ્લોટ પર મૂકી દેવાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો. દરમિયાન પાલિકાએ અચાનક જ અનામત પ્લોટનો કબજો લેવા માટેની કામગીરી શરૂ કરતાં આંદોલન શરૂ થયું હતું. લોકોનો આક્રોશ જોતા સરકાર અને ભાજપના નેતાઓ સાથે મંત્રણા થતા સરકાર દ્વારા રિઝવેશન હટાવી લેવા માટે હૈયા ધરપત આપવામાં આવી હતી.
જુલાઈ મહિનામાં રિઝર્વેશન હટાવી લેવા માટે હૈયા ધરપત આપી હોવા છતાં હજી અમલ થયો નથી. આ રિઝર્વેશનની અસરમાં 70 હજારથી વધુ લોકો આવે છે અને જો રિઝવેર્શન હટાવાવમાં નહી આવે તો લોકોની મુશ્કેલી વધી શકે તેમ છે. લાંબા સમય બાદ રિઝર્વેશન અંગે કોઈ નિર્ણય ન થતા અસરગ્રસ્તોની ધીરજ હવે ખુટી છે અને હવે 70 થી વધુ સોસાયટીના પ્રમુખો ભેગા થયા હતા અને આગામી દિવસ માટે રણનીતિ ઘડવામાં આવી હતી.
આ લડત લડતા ઉમેશ ઝડફીયાએ કહ્યું હતું કે, 10 થી 75 વર્ષ જૂની મિલકત પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા છે. અસરગ્રસ્તોએ મિલકત ખરીદી કરી હતી ત્યારે કોઈ રિઝર્વેશન મિલકતમાં હતા નહીં તેથી સરકારી કચેરી પર વિશ્વાસ રાખીને મિલકત ખરીદી કરી હતી. પરંતુ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે છેલ્લા ત્રણ વર્ષથી રજુઆત કરવામાં આવે છે પરંતુ કોઈ નિકાલ આવતો નથી માત્ર હૈયે ધરપત આપવામાં આવે છે તેથી ફરી સક્રિય આંદોલન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં નિર્ણય કરાયો છે કે, ટીપી 49, 50 અને 51 માં ઇરાદાપૂર્વક દાખલ કરેલા રીઝર્વેશન હટાવવામાં નહિ આવે ત્યાં સુધી ફરીથી આંદોલન સક્રિય સાથે ચાલુ રહેશે અને પાલિકાની ચૂંટણી પહેલા રિઝર્વેશન હટાવવામાં નહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામા આવશે.
આ ઉપરાંત સુરત પાલિકા-ગાંધીનગર મોરચો લઈ જવાશે અને સોસાયટીના ગેટ પર બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે પણ બેઠકમાં નિર્ણય કરાયો છે. ઉપરાંત કતારગામના 70 હજારથી વધુ લોકોની સમસ્યા માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ને લેખિતમાં રજૂઆત કરાશે, સુરત પાલિકા-ગાંધીનગર મોરચો લઈ જવાશે અને સોસાયટીના ગેટ પર બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે
અસરગ્રસ્તોની બેઠકમાં આ નિર્ણય થયા
- રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત સરકારી કચેરીઓમાં રજુઆત કરવામાં આવશે.
- કતારગામની રિઝર્વેશન સોસાયટીના ગેટ પર સૂત્રો સાથે બેનર લગાવવામાં આવશે.
- સુરત મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર મુખ્યમંત્રી કચેરીમાં મોરચો લઇને રજુઆત કરવામાં આવશે.
- સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા રિઝર્વેશન હટાવામાં નહિ આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
- અગાઉ લીધેલ કબજા સાત દિવસમાં પરત નહિ કરે તો ધરણા પર બેસવામાં આવશે










