![]()
Stray Dogs Castration Campaign: સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રખડતા કુતરાઓના નિયંત્રણ માટે ખસીકરણ અને રસીકરણની આક્રમક કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. સુરત પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં 58 હજારથી વધુ કુતરા પકડીને રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ 7.20 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે. અધધ ખર્ચ કરીને સુરતમાં 58 હજાર કુતરાઓનું ખસીકરણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કામગીરીની જાણે ‘રિવર્સ ઈફેક્ટ’ (ઊંધી અસર) થઈ હોય તેમ સુરતમાં કુતરાઓની સંખ્યામાં ઘટાડો થવાના બદલે સતત વધારો થઈ રહ્યો છે. સુરતના રસ્તાઓ પર કુતરાઓના ટોળાઓનો આતંક અને દિવસેને દિવસે વધુ આક્રમક બનતા સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.
ખસીકરણના દાવા વચ્ચે રખડતા કુતરાઓની સંખ્યામાં સતત વધારો
સુરત પાલિકા વિસ્તારમાં કુતરાનો ત્રાસ દૂર કરવા માટે વર્ષ 2021-22થી અત્યાર સુધીમાં 64,929 કુતરા પકડવામાં આવ્યા હતા, જેમાંથી 58,885 કુતરાઓનું રસીકરણ-ખસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ સુરત પાલિકાએ 7.20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સુરતમાં કુતરાઓની સંખ્યા વધવાની સાથે જ ‘ડોગ બાઈટ’ (કુતરા કરડવાના) કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આટલા મોટા ખર્ચ છતાં પણ કામગીરી યોગ્ય રીતે થઈ નથી, તે ડોગ બાઈટના આંકડા પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે.
ખસીકરણ માત્ર કાગળ પર?
હાલમાં પાલિકાના આંકડા પ્રમાણે, વર્ષ 2021-22થી અત્યાર સુધી 58,960 રખડતા શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે વેટરનરી ડોક્ટર, કુતરા પકડવાની ટીમ અને મોનિટરિંગ કમિટીની વ્યવસ્થા હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં ગ્રાઉન્ડ લેવલ પર તેની કોઈ અસર દેખાતી નથી. લોકોમાં હવે એવો સવાલ ઊઠી રહ્યો છે કે જો હજારો કુતરાઓનું ખસીકરણ થયું છે, તો શહેરમાં રખડતા કુતરાઓની સંખ્યા સતત કેમ વધી રહી છે?
આ પણ વાંચો: અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ
પાલિકાની કામગીરી સામે હવે લોકો ખુલ્લેઆમ સવાલો ઉઠાવી રહ્યા છે. નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે, શું ખસીકરણની કામગીરી માત્ર કાગળ પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે? શું વાસ્તવિક મેદાની મોનિટરિંગમાં કોઈ ખામી છે? શું કામગીરીના આંકડા અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે મોટો તફાવત છે? સુરતીઓ એવી માંગ કરી રહ્યા છે કે પાલિકા માત્ર આંકડાઓ અને દાવાઓ સુધી મર્યાદિત ન રહે, પરંતુ જમીની સ્તરે દેખાય તેવી કડક અને પરિણામલક્ષી કામગીરી કરે. નહીં તો આવનારા દિવસોમાં રખડતા કુતરાઓનો આ પ્રશ્ન વધુ ગંભીર અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનો ભોગ નિર્દોષ સુરતીઓ બની રહ્યા છે.









