![]()
પોતાનો કાર્યક્રમ પત્યા પછી તંત્ર પાછળ ફરીને જોતું નથી!
મેળો પૂર્ણ થયાને ૧૫ દિવસ બાદ પણ ગ્રાઉન્ડમાંથી કચરાનો નિકાલ ન કરાતા વિદ્યાર્થીઓ-મોર્નિંગ વોક કરવા આવતા લોકોને હાલાકી
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા ચાલુ વર્ષે સૌપ્રથમ વખત એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં જન્માષ્ટીમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મેળો પૂર્ણ થઈ ગયા બાદ ગ્રાઉન્ડમાંથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે વિદ્યાર્થીઓ સહિત સીનીયર સીટીઝનોને હાલાકી પડી રહી છે. મામલે ૅકલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મનપા કમિશનરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં મનપા તંત્ર દ્વારા સૌપ્રથમ વખત શહેરના મેળાના મેદાન ખાતે યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનું ગત તા.૧૪ થી ૧૮ ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ સુધી ચાલેલ આ મેળામાં લાખોની સંખ્યામાં લોકોએ મોજ માણી હતી. પરંતુ મેળો પૂર્ણ થઈ ગયા બાદ આ ગ્રાઉન્ડમાં હજુ સુધી મનપા તંત્ર દ્વારા યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી અને ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે.
જો કે, તંત્ર દ્વારા આ ગંદકીને દૂર કરવા માટે યોજનાઓ અમલમાં મુકવામાં તો આવી છે. પરંતુ તેની કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર તેમજ સવારમાં વોકીંગ અને કસરત માટે આવતા સીનીયર સીટીઝનો સહિત લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આથી મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળા દરમ્યાન આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં એકત્ર થયેલ કચરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરનાબેન જાની દ્વારા મનપા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.










