![]()
– વાવાઝોડા શક્તિની અસરઃ જિલ્લામાં મોડી સાંજે વાતારવરણમાં પલટો
– ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી : 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડતા પાક નુકસાનના ભયથી ખેડૂતોમાં ચિંતા
સુરેન્દ્રનગર : હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રવિવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી તેમજ વાવાઝોડું શક્તિની અસરના ભાગરૂપે રવિવારે મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ આસપાસના ગામો માળોદ, મેમકા, લટુડા, ઝાપોદર, ખોલડીયાદ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. બેથી ત્રણ દિવસના વિરામ બાદ ફરી વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં એકંદરે ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે જિલ્લાના લીંબડી, લખતર,? મુળી, ચોટીલા, ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓમાં પણ વાતાવરણમાં પલટા બાદ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાતા ખેડૂતોના ચેહરા પર ચિંતા જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૮ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે.










