Vadodara : વડોદરા શહેરમાં પ્રધાનમંત્રીના કેન્દ્રમાં 12 વર્ષ સુશાસનના થયા તેના માનમાં વોર્ડ કક્ષાએ વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 5માં ગઈકાલે વાઘોડિયા રોડ જય મંગલ સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મંત્રી મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તેમના હજુરીયા કાર્યકર્તાઓને હાજર રાખ્યા જ્યારે મજૂરીયા કાર્યકર્તાઓની બાદબાકી કરી દેતા સોશિયલ મીડિયા પર મજૂરીયા કાર્યકર્તાએ મેસેજ ફરતા કરતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.

વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1 થી 19 માં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાનુભાવોના નામો અંગે વિવાદ સર્જાયો હતો. જ્યારે વોર્ડ નંબર 4માં તો હાલના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ બે દિવસ વિવાદ ચાલ્યા હતા ત્યારે ગઈકાલે ફરી એકવાર વોર્ડ નંબર પાંચમાં વાઘોડિયા રોડ ઇન્દ્રપુરી અતિથિ ગૃહની પાછળ આવેલી જય મંગલ સોસાયટીમાં પ્રધાનમંત્રીના સુશાસનને 12 વર્ષ થયા તેના માનમાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તેમની સાથે સંકળાયેલા તેમના માનિતા હજુરિયા કાર્યકર્તાઓને સાથે રાખ્યા હતા. જ્યારે નજીકની સોસાયટીમાં જ રહેતા પૂર્વ પ્રમુખ અને હાલના શક્તિ કેન્દ્રના ઈનચાર્જ, સેલ સંયોજક કાર્યકર્તા શ્યામ કહાર સહિત મજૂરીયા કાર્યકર્તાઓની બાદબાકી કરી દેવામાં આવી હતી.
આ બાબતને ધ્યાનમાં રાખી જ્યાં મજૂરીયા કાર્યકર્તા શ્યામ કહર રહે છે તેની બાજુની જ સોસાયટીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવા છતાં તેઓની અવગણના કરવામાં આવી કાર્યક્રમ બાદ આ કાર્યકર્તાને અન્ય કાર્યકર્તાઓએ ટકોર કરી કે તમારી બાજુની સોસાયટીમાં આવ્યા હોવા છતાં તમને કે અમને કોઈને જાણ જ કર્યા વિના બારોબાર વૃક્ષારોપણનો કાર્યક્રમ પતાવીને મંત્રી અને તેમના હજુરિયા કાર્યકર્તાઓ ચૂપકીદી સેવીને ચાલ્યા ગયા છે. આ બાબતને ધ્યાનમાં રાખી શ્યામ કહારે સોશિયલ મીડિયા પર શહેર મહામંત્રીને ઉદ્દેશી મેસેજ ફરતો કર્યો હતો કે તમે અમારા વોર્ડના પ્રભારી છો અમારા વોર્ડમાં સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો પરંતુ દુર્લભ કાર્યકર્તા ને કેમ ભુલાઈ ગયા એ સમજાતું નથી. સાથે-સાથે સબકા સાથ સબકા વિકાસના સૂત્ર હોવા છતાં શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જનું કેટલું મહત્વ છે તે તમે અવારનવાર બેઠકમાં જણાવીને પ્રોત્સાહન આપતા રહ્યા છો ત્યારે મારા શક્તિ કેન્દ્રમાં અને મારી બાજુની સોસાયટીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય અને રાજ્ય કક્ષાના મિનિસ્ટર મનીષાબેન વકીલ આવ્યા તે ગર્વની વાત છે. સોસાયટીના પ્રમુખે કાર્યક્રમ થયો તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી તે બતાવીને કહ્યું કે અમારી સોસાયટીમાં મિનિસ્ટર બહેન આવ્યા હતા ત્યારે અમારા જેવા કાર્યકર્તાને બોલાવ્યા હોત તો મુલાકાત પરિચય થાત. સોશિયલ મીડિયા પર એક મજૂરીયા કાર્યકર્તાએ પોતાની વ્યથા રજૂ કરી અન્ય કાર્યકર્તાઓ પણ તેમની સાથે સહમત થયા હતા.










