![]()
બાકી ભાડાની વસુલાત માટે કોર્પોરેશન તંત્રની કાર્યવાહી
સાત દિવસમાં ભાડું નહીં ભરવામાં આવે તો દુકાનોને સીલ કરી દેવાની પણ ચીમકી આપવામાં આવી
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારાની એસ્ટેટ શાખા દ્વારા વેરા અને ભાડાની વસૂલાત માટે હવે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે શહેરના હાર્દ સમાન સેક્ટર-૨૧ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. માઈક્રો શોપિંગના ૫૭ દુકાનદારોને ૩૮ લાખના બાકી ભાડાની નોટિસ ફટકારવામાં આવી છે.
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. મીના બજારમાં દુકાનોના ભાડા નહીં ભરનાર આઠ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી ત્યારે બાકી ભાડું વસૂલવા માટે હાલ નોટિસો આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મળતી વિગતો પ્રમાણે સેક્ટર-૨૧ સ્થિત ત્રિકોણીયા માઈક્રો શોપિંગ સેન્ટરમાં લાંબા સમયથી અનેક ભાડુઆતો દ્વારા મહાનગરપાલિકાનું નિયત ભાડું ભરવામાં આવ્યું ન હતું. એસ્ટેટ વિભાગના ધ્યાને આ બાબત આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૫૭ જેટલા ભાડુઆતો ડિફોલ્ટર હોવાનું સામે આવ્યું હતું. આ તમામ ભાડુઆતો પાસે મહાનગરપાલિકાનું કુલ ૩૮,૦૮,૮૮૭ જેટલું જંગી ભાડું વસૂલવાનું બાકી નીકળે છે. મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ તમામ ૫૭ ભાડુઆતોને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી છે. તંત્ર દ્વારા નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે નોટિસ મળ્યાના ૭ દિવસની અંદર બાકી નીકળતી તમામ રકમ ભરપાઈ કરવી પડશે. નોટિસમાં તાકીદ કરવામાં આવી છે કે, જો આપેલી સમયમર્યાદામાં બાકી ભાડું જમા કરાવવામાં નહીં આવે, તો કસૂરવાર ભાડુઆતો સામે નિયમાનુસાર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મનપાની આ કાર્યવાહીને પગલે વર્ષોથી ભાડું દબાવીને બેઠેલા અન્ય ભાડુઆતોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં એસ્ટેટ વિભાગ દ્વારા વસૂલાતની કામગીરી વધુ તેજ બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે.










