![]()
કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ સેંકડો શ્રધ્ધાળુ ઉમટયા : સોમનાથ મંદિરમાં રાત્રે વિશેષ મહાપુજા અને પરંપરાગત મહાઆરતી કરાયા
વેરાવળ, : પ્રથમ જયોર્તિલિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત અમૃતવર્ષા સંયોગ રચાયો હતો. જેમાં વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ, અને સોમનાથ જયોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવ્યા હતાં. જેના દર્શન કરવા દેશ વિદેશમાંથી શ્રધ્ધાળુ પહોંચ્યા હતાં. ભક્તોએ વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી.
કાર્તિકી પૂર્ણિમાના અદભુત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગે મહાપૂજા કરવામાં આવી હતી. પરંપરા અનુસાર મધ્યરાત્રીએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હરમહાદેવ જય સોમનાથના નાદથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.










