![]()
વર્ષોથી આફ્રીકા જનારાને યલો ફીવરની રસી ફરજીયાત : બુધવારે એક જ દિવસે રસી અપાતી હોવાથી મૂશ્કેલી હોવાથી 2 દિવસ વ્યવસ્થા કરવા આરોગ્યમંત્રીને ચેમ્બરની રજૂઆત
રાજકોટ, : વેપાર-ધંધા અને રોજગારી માટે સૌરાષ્ટ્રમાંથી લોકો ભૂતકાળમાં સ્થળાંતર કરીને દેશના મહારાષ્ટ્ર,બંગાળથી માંડીને તમિલનાડુ સહિત અન્ય રાજ્યો અને આફ્રીકા, દુબઈ, અમેરિકા સહિત અનેક દેશોમાં લાખોની સંખ્યામાં વસ્યા છે. આ પૈકી આફ્રીકામાં માત્ર સૌરાષ્ટ્રના જ 10 લાખથી વધુ લોકો વસ્યાનું વેપાર મહામંડળ જણાવે છે અને ત્યાં જવા માટે દરેક પ્રવાસીને ફરજીયાત યલો ફીવરની રસી મુકાવ્યાનું સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે જે અન્વયે રાજકોટ સિવિલમાં આ રસી મુકાવવાની વ્યવસ્થા અપુરતી હોવાની ફરિયાદ રાજ્યના આરોગ્યમંત્રીને કરાઈ છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રો અનુસાર અગાઉ આ રસી લેવા માટે માત્ર જામનગરમાં વ્યવસ્થા હતી, બાદમાં સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું શરુ કરાયુ છે પરંતુ, હાલ સિવિલ હોસ્પિટલમાં દર સપ્તાહે માત્ર બુધવારના દિવસે જ આવી રસી અપાતી હોવાથી 40 જેટલા લોકોએ લાઈનમાં ઉભા રહેવું પડે છે અથવા નાછૂટકે જામનગર જવું પડે છે. લોકોની આ હાલાકી નિવારવા સપ્તાહમાં બે વખત વેક્સીન ની વ્યવસ્થા કરવા માંગણી કરાઈ છે.
ગુજરાતમાં જે એડીસ ઈજીપ્ટી પ્રકારના મચ્છરો (કે જે દિવસના સમયે જ કરડે છે) ડેંગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે તે જ જાતિના મચ્છરો આફ્રીકા,અમેરિકા સહિત દેશોમાં યલો ફીવર ફેલાવે છે. મચ્છરથી ફેલાવાતા વાયરસથી થતા આ તાવમાં આરંભિક લક્ષણો તો સ્નાયુ,માથાનો દુખાવો,તાવ વગેરે હોય છે પરંતુ, ગંભીર રૂપ ધરે તો અંગો ખોટા પડવા,રક્તસ્ત્રાવ,કમળો વગેરે લક્ષણો થાય છે.વિશ્વમાં આમ તો 60 કરોડની વસ્તીને આ મચ્છરોનો ચેપ લાગવાનું જોખમ હોય છે અને વર્ષે આશરે ૨ લાખ જેટલા કેસો નોંધાય છે જેમાં મોટાભાગના આફ્રીકામાં હોય છે. રસી જરૂરી માનતા લોકોએ જણાવ્યું કે આ રોગ આફ્રીકાના સ્થાનિક કરતા ભારતીયને થાય તો વધુ ગંભીર અસરો સર્જે તેવુ જોખમ મનાય છે.










