![]()
– નાણાંકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં
– બીલ અને ઈ-વે બીલ વગર માલ સામાનની હેરફેર કરનારાને રૂ. 3.99 કરોડનો દંડ
ભાવનગર : નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોર્ડે બીલ વગર અને ઈ વે બીલ વગર માલ સામાનની હેરફેર કરનારા ૯૨ લોકોને કુલ રૂ.૩.૯૯ કરોડનો દંડ ફટકાર્યો છે. નિયમ વિરૂદ્ધ સ્ક્રેપ, સળિયા, ઓઈલ, જનરેટર, લોખંડની પ્લેટ જેવી વસ્તુઓની હેરફેર કરનારાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોર્ડે બીલ કે ઈ-વે બીલ વિના માલ સામાનની હેરફેર કરનારા લોકો પર વૉચ રાખે છે. ભાવનગરમાં સ્ક્રેપ, સળિયા, ઓઈલ, જનરેટર, લોખંડની પ્લેટ જેવી વસ્તુઓની નિયમ વિરૂદ્ધ હેરફેર કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બીજી ક્વાર્ટર જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કુલ ૯૨ લોકો સામે કાર્યવાહી કરી કુલ રૂ.૩.૯૯ કરોડનો દંડ ફટકાર્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ક્વાર્ટર એપ્રીલથી જુન દરમિયાન ૭૩ લોકોને કુલ રૂ.૨.૬૮ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં વધારે દંડ વસૂલવામાં આવ્યો છે. આમ, ચાલુ નાણાંકીય વર્ષના બન્ને ક્વાર્ટરમાં કુલ ૧૬૫ લોકોને કુલ રૂ.૬.૬૭ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.










