![]()
શહેરના હરણી વિસ્તારમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પાસે ભક્તોની સુરક્ષા માટે માર્ગ પર ગતિ અવરોધક (સ્પીડ બ્રેકર) સુવિધા ઉભી કરવા મંદિરના મહંતે મ્યુ. કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી છે. અઠવાડિયા પહેલા મંદિર સામે ભારદારી વાહનની અડફેટે ૧૫ વર્ષની દીકરીનો પગ કચડાઈ જતાં આ મુદ્દો ફરી ગંભીર બન્યો છે.
મંદિરના પૂજારીએ જણાવ્યું છે કે, શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. દર શનિ અને મંગળવારે તેમજ રોજ સાંજની આરતીના સમયે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડે છે. આવી પરિસ્થિતિમાં માર્ગ પરથી ઝડપથી પસાર થતા વાહનો ભક્તો માટે જોખમરૂપ બન્યા છે.
ભક્તોની સુરક્ષા માટે છેલ્લા ત્રણ વર્ષથી મ્યુ. કોર્પોરેશનને મંદિર સામેના માર્ગ પર ગતિ અવરોધક સુવિધા ઉભી કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર નહિ સાંભળતો ભક્તોની સુરક્ષા માટે તંત્રને જગાડવા અખંડ રામધૂન અને ભજન-કીર્તન કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર મુલાકાત લઈ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ, નહીં તો આ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈતા. ૧૩ ડિસેમ્બરે બપોરે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર સામે મિલર (મિક્સર) ટ્રકે મોપેડ પર જઈ રહેલી માતા-પુત્રીને અડફેટે લેતા ૧૫ વર્ષની દીકરીનો પગ ગંભીર રીતે કચડાઈ ગયો હતો.










