
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે આ વરસે પહેલાવાર દસમા અને બારમા ધોરણની માર્કશીટમાં ક્યૂઆર કોડ લગાવ્યો હોવાથી માર્કશીટમાં માર્ક બદલીને કે ટકાવારી બદલીને નોકરીમાં કે અન્ય સ્થળે લાભ લઈ લેવાની કે પછી એડમિશનમાં લાભ લઈ લેવાની ગેરરરીતિઓ પર પડદો પડી જશે. અત્યાર સુધી કોઈપણ સંસ્થાએ એડમિશન આપતી વેળાએ માર્કશીટની ચકાસણી કરવા માટે બોર્ડમાં મોકલવી પડતી હતી. આ વર્ષથી માર્કશીટમાં ક્યૂઆર કોડ લગાવ્યો હોવાથી ક્યૂઆર કોડને સ્કેન કરી દેવાથી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મૂકેલી માર્કશીટ ખૂલી જશે. તેથી વિદ્યાર્થીએ રજૂ કરેલી અને બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરની માર્કશીટ એક સમાન હોવાની ચકાસણી ગણતરીની સેકેન્ડ્સમાં થઈ જશે. આમ માર્કશીટ સાથે ચેડાં કરવાની પ્રવૃત્તિ પર પડદો પડી જશે.









