HDFC Bank Minimum Balance Rise: ICICI બેન્ક બાદ હવે એચડીએફસી બેન્કે પણ મિનિમમ બેલેન્સ મુદ્દે મોટી જાહેરાત કરી છે. એચડીએફસી બેન્કે પોતાના બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ રૂ. 10,000થી વધારી રૂ. 25,000 કર્યું છે. આ નિયમ 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવ્યો હોવાનું બેન્કે જણાવ્યું છે. હવે એક ઓગસ્ટ બાદથી એચડીએફસી બેન્કમાં બચત ખાતું ખોલાવા માટે માસિક ધોરણે મિનિમમ (લઘુતમ) રૂ. 25000 બેલેન્સ રાખવું પડશે.
જો તમારા બચત ખાતામાં દર મહિને 25000 રૂપિયા રાખવામાં ન આવે તો દંડ લાદી શકાય છે. જોકે, આ નિયમ ફક્ત 1 ઓગસ્ટ પછી ખોલવામાં આવેલા બચત ખાતાઓ પર જ લાગુ થશે. જૂના ખાતા પર તેની કોઈ અસર થશે નહીં. એચડીએફસી બેન્કની નવી શરતો અનુસાર, ખાતેદારોએ રૂ. 25,000નું બેલેન્સ જાળવવું જરૂરી છે. જો સરેરાશ માસિક બેલેન્સ આ મર્યાદાથી નીચે જાય તો બેન્ક દંડ લાદશે. શહેરી અને મેટ્રો શહેરો માટે દંડની રકમ રૂ. 600 અથવા 6 ટકાના દરે (જે ઓછું હોય તે) વસૂલવામાં આવશે.
અર્ધ-શહેરી, ગ્રામીણ વિસ્તારોમાં મર્યાદા યથાવત
એચડીએફસી બેન્કના બચત ખાતા હેઠળ, અગાઉ શહેરી શાખાઓ માટે મિનિમમ બેલેન્સ રૂ. 10,000, અર્ધ-શહેરી શાખાઓ માટે રૂ. 5,000 અને ગ્રામીણ શાખાઓ માટે રૂ. 2,500 હતું. હાલમાં, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદા યથાવત્ છે. હવે નવા અપડેટ મુજબ, રૂ. 25000નું મિનિમમ બેલેન્સ મર્યાદા મહાનગરો અને શહેરી વિસ્તારોમાં નવા ખાતા પર લાગુ થશે.
આ પણ વાંચોઃ ICICI બૅન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો
આરબીઆઈ ગવર્નરે હાથ ઊંચા કર્યા
ખાનગી બેન્કોની મિનિમમ બેલેન્સ અને બેન્કિંગ સેવાઓ માટે વસૂલવામાં આવતા મસમોટા ચાર્જ મુદ્દે આરબીઆઈ ગવર્નરે હાથ ઊંચા કર્યા છે. તેમણે હાલ ચાલી રહેલા મિનિમમ બેલેન્સના વિવાદ વચ્ચે નિવેદન આપ્યું હતું કે, મિનિમમ બેલેન્સ પોલિસી આરબીઆઈના રેગ્યુલેટરી ડોમેન હેઠળ નથી. અમુક બેન્કો રૂ. 1000 જ્યારે અમુક બેન્કો ઝીરો બેલેન્સ એકાઉન્ટ સુવિધા આપી રહી છે. આ નિર્ણય બેન્કોનો હોય છે.
ખાનગી બેન્કોની સામે સરકારી બેન્કોમાં રાહત
એકબાજુ ખાનગી બેન્કો સતત પોતાના મિનિમમ બેલેન્સમાં વધારો કરી રહી છે. બીજી બાજુ એસબીઆઈ, પંજાબ નેશનલ બેન્ક, કેનેરા બેન્ક જેવી સરકારી બેન્કોમાં ઝીરો મિનિમમ બેલેન્સ સુવિધા છે. આ બેન્કોમાં મિનિમમ બેલેન્સની કોઈ મર્યાદા નથી. બેન્ક ઓફ બરોડા, ઈન્ડિયન બેન્કમાં પણ ઝીરો મિનિમમ બેલેન્સની સુવિધા છે. જ્યારે યુનિયન બેન્કમાં મેટ્રો શહેરોમાં રૂ. 1000, અર્ધશહેરી વિસ્તારોમાં રૂ. 500 અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 250 તથા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂ. 2500 મિનિમમ બેલેન્સ અનિવાર્ય છે.











