![]()
Jamnagar PGVCL : હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગત 19મી તારીખે બપોર બાદ ફૂંકાયેલા વિનાશક વાવાઝોડાના કારણે સૌથી વધુ વિજ તંત્રને નુકસાની થઈ હતી, અને વિજ વિભાગની જુદી જુદી ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પરિપૂર્ણ થઈ છે, અને તમામ ગામોમાં વિજ પુરવઠો કાર્યરત બની ગયો છે. ડેમેજ થયેલા તમામ વીજ ટ્રાન્સફોર્મર અને વીજપોલ ફરીથી ઊભા કરી લેવામાં આવ્યા છે, અને કુલ 95 લાખ જેટલો ખર્ચ થયો છે.
બંને જિલ્લાઓમાં 19 તારીખે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે વિજ તંત્રના કુલ 726 ગામ પૈકીના 452 ગામો અસરગ્રસ્ત થયા હતા, અને ગઈકાલે સાંજ સુધીમાં તમામ 452 ગામોમાં વીજ સમારકામની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, અને હવે એક પણ કમ્પ્લેઇન બાકી રહી નથી.
કુલ 1148 ફીડર પૈકી 728 ફીડર ઇફેક્ટેડ થયા હતા, અને ગઈકાલ સાંજ સુધીમાં તમામ 728 ફીડર કાર્યરત થઈ ગયા છે. ઉપરાંત હાઈ ટેનશન અને લો ટેન્શન લાઇનના કુલ 741 વિજ પોલ ડેમેજ થઈ ગયા હતા, અને તમામ વીજપોલ ઊભા કરી લેવાયા છે. જેથી એ પણ પોલ ઉભો કરવાનો હવે બાકી રહયો નથી. તે જ રીતે કુલ 30 વિજ ટ્રાન્સફોર્મર ડેમેજ થઈ ગયા હતા, અને તમામ 30 ટ્રાન્સફોર્મર હાલ ઊભા કરી લેવાયા છે, અને વિજ તંત્રને કુલ 95 લાખ 25 હજારનો ખર્ચ થયો છે.










