![]()
– સુરતથી મૂળ વતન અયાવેજ મરણના કામે યુવાન આવ્યો હતો
– યુવાન બાઈક લઈને સુરત જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ધંધુકા : અયાવેજ નંબર ૨ ના વતની અને હાલ સુરત ખાતે રહેતા યુવાન પોતાનું બાઈક લઈને સુરત જતા હતા ત્યારે ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આવેલ હેબતપુર નજીક સાઇડ પર આવેલી લોખંડની રેલીંગ પાસે પાર્ક કરેલ બાઇક સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.
જેસર તાલુકાના અયાવેજ નંબર ૨ ના વતની અને હાલ સુરત ખાતે રહેતા અજયભાઈ સોમતભાઈ પરમાર ( ઉ.વ ૨૬ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઈએચ ૧૮૩૨ લઈને મરણના કામે અયાવેજ નંબર ૨ ખાતે આવ્યા હતા.અને મરણનું કામ પૂર્ણ થતા બાઈક લઈને સુરત જવા માટે રવાના થયા હતા.દરમિયાનમાં ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આવેલ હેબતપુર નજીક સાઇડ પર આવેલી લોખંડની રેલીંગ પાસે પાર્ક કરેલ બાઇક નંબર જીજે ૦૪ એજે ૯૯૭૯ સાથે અથડાવી દેતા અજયભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી.ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા સોમતભાઈ પરમારે ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.










