GST On Health And Term Insurance: આ વર્ષે દિવાળીમાં કેન્દ્ર સરકાર જીએસટીમાં ઘટાડાનો લાભ આપવા જઈ રહી છે. જેના લીધે વિવિધ ચીજવસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે. ઈન્સ્યોરન્સ પોલિસી પર પણ લાગુ ટેક્સમાં ઘટાડો થવાનો આશાવાદ છે. પરિણામે વીમાધારકના ખિસ્સા પર પ્રીમિયમનો બોજો ઘટશે અને ઈન્સ્યોરન્સ વધુ સુલભ બનશે. કેન્દ્ર સરકારે આ મામલે સત્તાવાર કોઈ ખાતરી આપી નથી.
છેલ્લા લગભગ એક વર્ષથી ઈન્સ્યોરન્સ પર લાગુ જીએસટી ઘટાડવાની માગ થઈ રહી હતી. જેના માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ ભલામણો રજૂ કરવામાં આવી હતી. ટેક્સ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો સાથે હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ પર લાગુ જીએસટી ઘટાડી 5 ટકા કરવાની જોગવાઈ છે. હાલ તેના પર 18 ટકા જીએસટી લાગુ છે.
જીએસટી ઘટાડાથી 17000 કરોડનું નુકસાન
નિષ્ણાતોના મતે, ઈન્સ્યોરન્સ પર જીએસટીમાં ઘટાડો કરવાથી સરકારની તિજોરીને વાર્ષિક રૂ. 17000 કરોડનું નુકસાન થઈ શકે છે. જો હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ પરથી જીએસટી સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો ઈન્સ્યોરન્સ કંપનીઓ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ક્લેમ કરવાની ક્ષમતા ગુમાવશે. જેથી ઓપરેટિંગ ખર્ચમાં વધારો થશે. જો કે, ઈન્સ્યોરન્સ ખરીદનારા સામાન્ય લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. હાલ 18 ટકા જીએસટી લાગુ છે. જેથી જો હેલ્થ ઈન્સ્યોરન્સ માટે વાર્ષિક રૂ. 50000નું પ્રીમિયમ ચૂકવતા હોય તો તેઓએ જીએસટી પેટે રૂ. 9000 વધારાના ચૂકવવા પડે છે. આ પ્રકારની પોલીસીમાં ટેક્સ ઘટાડવાથી ઈન્સ્યોરન્સની ખરીદી અને માગ વધશે.
વડાપ્રધાને કરી જાહેરાત
વડાપ્રધાન મોદીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાએથી જાહેરાત કરી હતી કે, ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીએસટીમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે એક યોજનાબદ્ધ જીએસટી સુધારો કરવા જઈ રહ્યા છે. નાગરિકોને આ દિવાળીએ જીએસટીમાં ઘટાડાની ભેટ આપીશું. જેથી લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. તેમજ એમએસએમઈ, નાના ઉદ્યોગોને મોટો લાભ મળશે. રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી થશે અને અર્થવ્યવસ્થાને વેગ મળશે. જેના ભાગરૂપે નાણા મંત્રાલયે સ્પષ્ટતા આપી હતી કે, તેઓ જીએસટીના સ્લેબ 4થી ઘટાડી 2 કરવાની વિચારણા કરી રહ્યા છે.











