![]()
Indian Seafarers Stranded: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય નાવિકો પર જોવા મળી રહી છે. દેશના સૌથી જૂના મેરીટાઇમ યુનિયન નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઈન્ડિયા (NUSI) એ ચિંતા વ્યક્ત કરી છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં 20,000 થી વધુ ભારતીય નાવિકો જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે.
ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ
NUSI ના જણાવ્યા અનુસાર, જો આ સંઘર્ષ વધુ વકરશે તો જહાજો અધવચ્ચે અટવાઈ શકે છે. આવી સ્થિતિમાં ક્રૂ મેમ્બર્સ પાસે ખોરાક અને દવાઓની તંગી સર્જાઈ શકે છે. મિસાઈલ અને ડ્રોન હુમલાનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. સામાન્ય દરિયાઈ મુસાફરી હવે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો : વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય
પરિવારોમાં ચિંતા શું મારા સગા સલામત પાછા આવશે?
NUSI ના જનરલ સેક્રેટરી મિલિંદ કંદલગાંવકરે જણાવ્યું હતું કે, નાવિકોના પરિવારોમાં ગભરાટ ફેલાયો છે. દરરોજ સેંકડો ફોન કોલ્સ આવી રહ્યા છે. જેમાં સ્વજનોની સલામતી અંગે પૃચ્છા કરવામાં આવે છે. આ નાવિકો સૈનિકો નથી પણ સામાન્ય નાગરિકો છે, જે વૈશ્વિક વેપારને ચાલુ રાખવા માટે પોતાની સુરક્ષા સાથે બાંધછોડ કરી રહ્યા છે. NUSI એ ભારત સરકારને આ મુદ્દાને રાષ્ટ્રીય પ્રાથમિકતા ગણીને તાત્કાલિક અસરથી ઇવેક્યુએશન પ્રોટોકોલ (બચાવ કામગીરી) અમલી બનાવવા વિનંતી કરી છે.
શા માટે આ સ્થિતિ ગંભીર છે?
મોટાભાગના ભારતીય નાવિકો વિદેશી ધ્વજ ધરાવતા જહાજો પર કામ કરે છે, જેના કારણે જવાબદારી વીમા કંપનીઓ અને વિવિધ દેશો વચ્ચે વહેંચાયેલી હોય છે. જહાજોના શિડ્યુલ અને સુરક્ષા એલર્ટના આધારે ક્રૂ મેમ્બર્સની સ્થિતિ સતત બદલાતી રહે છે. આ નાવિકો ભારતના આર્થિક હિતો અને વૈશ્વિક સપ્લાય ચેઈનને જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.










