![]()
અમદાવાદ,સોમવાર,17
નવેમ્બર,2025
રુપિયા ૨૫ કરોડનું આંધણ કરી આઠ વર્ષ પહેલા પીરાણા વિસ્તારમાં
૧૫૦૦ કે.સી.આઈ.ગામા રેડિયેશન પ્લાન્ટ બનાવવા મંજૂરી અપાઈ એ સમયથી જ વિવાદમા આવેલો
છે.આ પ્લાન્ટમાં ઉત્પાદન કરાતા ખાતરને વેચવા કેન્દ્ર સરકારનું લાયસન્સ કે મંજૂરી
મળી નથી.કેન્દ્ર સરકારમાં માનવમળમાંથી બનતા ખાતર અંગેની કોઈ કેટેગરી નથી.આ
પરિસ્થિતિમાં આ પ્લાન્ટને બંધ કરવો કે ચાલુ રાખવો અંગે અંગે પાણી સમિતિની આગામી
બેઠકમા અંતિમ નિર્ણય લેવાશે.
પાણી સમિતિની બેઠકમાં સોમવારે આ પ્લાન્ટના વાર્ષિક રુપિયા
એક કરોડથી વધુના ખર્ચથી ઓપરેશન અને મેઈન્ટેનન્સ અંગેની દરખાસ્ત ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો. કમિટીના ચેરમેન
દિલીપ બગરીયાએ કહયુ,વર્ષ-૨૦૧૬માં
પીરાણા ખાતે આ પ્લાન્ટ બનાવાયો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરના પાણી ટ્રીટ
કર્યા પછી વધતા સ્લજમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરુ કરવામા આવેલો છે. આઠ વર્ષથી આ
પ્લાન્ટમાં ઉત્પાદન કરાતા ખાતરને ઓપન માર્કેટમાં વેચવા માટેનુ લાયસન્સ મળ્યુ
નથી.કોર્પોરેશન તરફથી કેન્દ્ર સરકારમા ખાતરના વેચાણ માટે અરજી કરવામા આવી છે એને
પણ હજી સુધી મંજૂરી મળી નથી.ત્રણ વર્ષ પહેલા કોર્પોરેશને ભાભા ઓટોમીક રીસર્ચ સેન્ટર
સાથે મળીને રેડિયેશન પ્લાન્ટમા સુધારો કર્યો હતો.જેમા ક્રશરની નવી ટેકનોલોજી
જોડવામા આવી હતી.જયાં સુધી આ પ્રકારના ખાતરની કેટેગરી ઉભી ના થાય ત્યાં સુધી આ
પ્લાન્ટમાં બનતા ખાતરના વેચાણ માટે લાયસન્સ મળે એવી કોઈ શકયતા નથી.ટૂંકમાં
પ્લાન્ટનુ ભાવિ ધૂંધળુ છે.
દરખાસ્તને લઈ તત્કાલિન કમિશનર-વિપક્ષ નેતા વચ્ચે તૂં તૂં
મૈં મૈ થઈ હતી
કોર્પોરેશનની બોર્ડ બેઠકમા સ્લજ રેડિયેશન પ્લાન્ટને મંજૂરી
આપવાને લઈ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને તત્કાલિન વિપક્ષનેતા દિનેશ
શર્મા વચ્ચે બોર્ડ બેઠકમા જ ચકમક ઝરી હતી. તત્કાલિન વિપક્ષનેતાએ એ સમયે જ આ
પ્રકારનો પ્લાન્ટ બનાવવો લોકોના જાહેરહીતમા યોગ્ય છે કે કેમ, કેન્દ્ર સરકારની
મંજૂરી મળી છે કે કેમ જેવી વિગત માંગતા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અકળાયા હતા
અને બોર્ડની ચાલી રહેલી કાર્યવાહી અધવચ્ચે
છોડીને નીકળી ગયા હતા.










