DGCA New Rule: તાજેતરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ ખોરવાઈ જતાં લાખો મુસાફરોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ ઇન્ડિગો કટોકટીથી સમગ્ર એવિએશન સેક્ટર હચમચી ગયું હતું, જેને પગલે ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે સરકારે તૈયારી શરૂ કરી દીધી છે.
દેશના એવિએશન સેક્ટરમાં ઇતિહાસમાં પહેલીવાર, ટેકનિકલ ખામીઓની દેખરેખ માટેની સમગ્ર વ્યવસ્થામાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ફ્લાઇટ્સના સતત વિલંબ, ફ્લાઇટ્સ રદ થવાની ઘટનાઓ અને તાજેતરની સુરક્ષા ઘટનાઓએ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)ને ડિફેક્ટ રિપોર્ટિંગ સિસ્ટમને મૂળભૂત રીતે વધુ કડક બનાવવા માટે મજબૂર કર્યા છે.
ફ્લાઇટ 15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે
નવા 12-પાનાના આદેશ મુજબ, હવે જો કોઈ નિર્ધારિત ફ્લાઇટ ટેકનિકલ કારણોસર 15 મિનિટ કે તેથી વધુ મોડી પડે, તો તેની તપાસ કરવી ફરજિયાત રહેશે. આ નવા આદેશ હેઠળ, એરલાઇન કંપની માટે એ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે વિલંબનું કારણ શું હતું અને તેને દૂર કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા હતા.
72 કલાકમાં રિપોર્ટ જરૂરી
એરલાઇને એ પણ સ્પષ્ટ કરવું પડશે કે ભવિષ્યમાં તે ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે કયા ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ એવી જોગવાઈઓ છે જે અગાઉના નિયમોમાં સામેલ નહોતી. નિયમો મુજબ, હવે કંપનીએ કોઈપણ મોટી ખામીની જાણકારી DGCAને ફોન દ્વારા તરત જ આપવી પડશે. આ ઉપરાંત, તેની વિગતવાર રિપોર્ટ 72 કલાકની સમયમર્યાદામાં સુપરત કરવો ફરજિયાત છે.
આ પણ વાંચો: જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને ઈટાલી આવવા આમંત્રણ, જાણો ક્યારે યોજાઈ શકે પ્રવાસ
નવા નિયમોને બનાવ્યા સખત
નવા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ ખામી ત્રણ વખત પુનરાવર્તિત થાય, તો તેને ‘પુનરાવર્તિત ખામી’ (Repetitive Defect) ગણવામાં આવશે. આવી ખામી માટે એક અલગ પ્રકારની વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે DGCA દ્વારા આ કડક પગલાં લેવાનું કારણ એ છે કે અગાઉની ડિફેક્ટ રિપોર્ટિંગ સિસ્ટમ પૂરતી મજબૂત નહોતી. વર્તમાન નિયમોમાં 15 મિનિટના વિલંબની તપાસ જેવી કોઈ ફરજિયાત જોગવાઈ અગાઉ લાગુ કરવામાં આવી નહોતી.











