![]()
CM Himanta Biswa Sarma: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક મોટો અને સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘વર્ષ 2014માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મને ખુદ આસામના મુખ્યમંત્રી બનવા માટે શપથ ગ્રહણની તારીખ નક્કી કરવા માટે કહ્યું હતું. તે સમયે કોંગ્રેસના 58 ધારાસભ્યોનું મને સમર્થન હતું અને હું મુખ્યમંત્રી બનવાની સ્થિતિમાં હતો.’
તે સમયે આસામમાં શું થયું હતું?
વર્ષ 2011ની વિધાનસભા ચૂંટણી બાદ આસામ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરુ થઈ ગયો હતો. પાર્ટીના ઘણા ધારાસભ્યો ઇચ્છતા હતા કે, તત્કાલીન મુખ્યમંત્રી તરુણ ગોગોઈના સ્થાને હિમંતા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, ‘સોનિયા ગાંધીએ મને શપથ ગ્રહણની તારીખ નક્કી કરવા માટે કહ્યું હતું. મેં વિચાર્યું કે હું જૂન 2014માં કામાખ્યા મંદિરમાં અંબુબાચી મેળા બાદ શપથ ગ્રહણ કરીશ.’
પછી અચાનક શું બદલાયું?
હિમંતા બિસ્વા સરમાએ આગળ જણાવ્યું કે, ‘તે સમયે રાહુલ ગાંધી અમેરિકામાં હતા અને તેમણે ત્યાંથી કોંગ્રેસ નેતાઓને ફોન કર્યો. ત્યારબાદ આખો માહોલ બદલાઈ ગયો અને મને મુખ્યમંત્રી ન બનાવ્યો.’
તે વખતે દુ:ખ હતું, પરંતુ હવે ખુશ
આ સમગ્ર ઘટનાક્રમ પર હવે સીએમ સરમાએ કહ્યું કે, ‘તે સમયે મને દુ:ખ થયું હતું, પરંતુ હવે હું માનું છું કે, જે થયું સારું થયું. ભાજપમાં રહીને મને આસામ અને સનાતન ધર્મની સેવા કરવાની તક મળી. જો હું ક્યારેક પુસ્તક લખીશ તો આ સમગ્ર ઘટનાક્રમનો વિસ્તારથી ઉલ્લેખ કરીશ.’ આમ આસામના સીએમએ કોંગ્રેસ છોડવા પાછળની પોતાની કહાની જણાવી.










