![]()
અમદાવાદ : ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવાય છે. ભારતનો ફાર્માસ્યુટીલ ઉદ્યોગ ૨૦૩૦ સુધીમાં ૧૩૦ અબજ ડોલરને આંબી જવાનું અનુમાન છે. ભારતમાં પેનિસિલિનનું ઉત્પાદન ત્રણ દાયકા પછી ફરી શરૂ કરાઇ રહ્યું છે જેથી ચીન પર રાખવો પડતો આધાર ઓછો થશે અને વિશ્વમાં એન્ટી બાયોટિક્સના ભાવોના માર્કેટની સ્પર્ધામાં ભારત ઉભું રહી શકશે. ૩૦ વર્ષથી ભારત પેેનિસિલિનની આયાત કરતું આવ્યું છે. મહત્વના એન્ટીબાયોટીક્સ માટે ભારત હવે એક્ટિવ ફાર્માસ્યુટીલ ઇન્ગ્રેડીયન્ટ્સ (APIs)તરફ વળ્યું છે.
એક સમયે ભારતમાં હિન્દુસ્તાન એન્ટિબાયોટીક્સ, ટોરેન્ટ ફાર્મા જેવી કંપનીઓ પેનિસિલિન બનાવતી હતી પરંતુ સસ્તા દરે ચીનથી આવતા પેનેસિલિનના કારણે આ કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું હતું.
૧૯૬૦ના દાયકામાં ભારતમાં પેનેસિલિનનું પુરતું ઉત્પાદન થતું હતું પરંતુ ૧૯૯૦ના દાયકા સુધીમાં તેના ઇત્પાદન પરની પકડ ઢીલી પડી ગઇ હતી કેમકે ચીનથી આવતા સસ્તા પેનેસિલિન સામે ભારતના કંપનીઓ ટક્કર લઇ શકી નહોતી. ૧૯૯૦ પછીતો પેનેસિલિનનું ઉત્પાદન ભારતમાં બંધ થઇ ગયું હતું. ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ ચીનથી સસ્તું પેનેસિલિન આયાત કરતા હતા.
વિદેશની ચીજો પર આધારીત સ્થિતિના બદલે આત્મ નિર્ભર બનવાની વ્યૂહ રચનાના કારણે ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન પીએલઆઇ સ્કીમ હેઠળ બીજી માર્ચથી આધ્ર પ્રદેશના કકીન્ડા ખાતેના અરબિન્દો ફાર્માના પ્લાન્ટમાં શરૂ કરાશે.
પેનિસિલિન જેવા મહત્વના એન્ટીબાયોટીક્સ ડ્રગ માટે ભારતે ૯૦ ટકા ચીન પર આધાર રાખવો પડે છે.
આરોગ્ય મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ બેંગલુરૂ ખાતે કહ્યું હતું કે ૩૦ વર્ષ બાદ ફરી ભારતમાં પેનિસિલિનનું ઉત્પાદન શરૂ કરાઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ટીટેનસ, સિફિલીસ, ન્યુમોનિયા તેમજ અન્ય ચેપના રોગોમાં ઉપયોગી એવી બેન્ઝાય પેનિસિલીન (પેનેસિલિન-જી)નું ઉત્પાદન કરશે. સ્થાનિક ઉત્પાદનને પ્રત્સાહન આપતી સરકારની પ્રોડક્શન લીન્ક્ડ ઇન્સેનટીવ સ્કીમ (PLI) હેઠળ ઉત્પાદન કરાશે.
ભારતે ૪૮ જેટલા ડ્રગ્સની યાદી બનાવી છે જેનું ઉત્પાદન પીએલઆઇ સ્કીમ હેઠળ કરવા વિચારાય છે. આ ડ્રગ્સમાં પોરાસિટામોલ,, લિવોફ્લોક્સિન, વિટામીન બી-૬,નોરફોલકિસીન વગેરેનો સમાવેશ થાય છે.










