![]()
– શાક માર્કેટ અન્યત્ર ખસેડવા રજૂઆત
– ગ્રાહકોની ભીડ, આડેધડ વાહન પાકગ અને સતત ઘોંઘાટને કારણે સોસાયટીના રહિશોને હાલાકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ૮૦ ફૂટ રોડ પરની શાક માર્કેટને મારૂતિ પાર્કના મેદાનમાં ખસેડવામાં આવી છે. આ નિર્ણયથી આસપાસની ૫થી વધુ સોસાયટીઓમાં રહેતા અનુસૂચિત જાતિના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
સોસાયટીના મુખ્ય રસ્તાઓ પર વેપારીઓ અને ગ્રાહકોની ભીડ, આડેધડ વાહન પાકગ અને સતત ઘોંઘાટને કારણે સ્થાનિકોની અવરજવર ખોરવાઈ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી.
૮૦ ફૂટ રોડ પર ભારે વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિકના નિયંત્રણ માટે માત્ર ૧-૨ હોમગાર્ડ જ તૈનાત હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોએ મનપા કમિશનર અને એસ.પી.ને લેખિત રજૂઆત કરી છે. સ્થાનિકોની માંગ છે કે આ શાક માર્કેટને અન્ય કોઈ અનુકૂળ જગ્યાએ ખસેડવામાં આવે જેથી ટ્રાફિક અને રહીશોની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવી શકે.










