– જમીન પર દસકાઓથી ગુરૂદ્વારા છે : સુપ્રીમ
– 1953માં મોહમ્મદ અહસાને આ જમીન હીરાસિંહને વેચી દીધી હતી છતા વક્ફે દાવો કર્યો
નવી દિલ્હી : દિલ્હીના શાહદરા સ્થિત ગુરૂદ્વારાની જમીન પર પોતાનો દાવો કરીને વક્ફ બોર્ડ દ્વારા હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમે આ અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે જે જમીન પર વક્ફ દાવો કરી રહ્યું છે ત્યાં દસકાઓથી ગુરૂદ્વારા છે તેથી વક્ફે પાછળ હટી જવું જોઇએ.
આ સમગ્ર મામલો દિલ્હીના શાહદરા સ્થિત ગુરૂદ્વારાની જમીન સાથે સંકળાયેલો છે. આ જમીનને વક્ફની સંપત્તિ બતાવીને દિલ્હી વક્ફ બોર્ડ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં ૨૦૧૦માં અરજી કરાઇ હતી, જેમાં બોર્ડે દાવો કર્યો હતો કે આઝાદી પહેલા આ જમીન પર મસ્જિદ હતી, જેના પર બાદમાં ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે. હાઇકોર્ટે આ દલીલોને ફગાવી હતી જે બાદ બોર્ડ દ્વારા હાઇકોર્ટના ચુકાદાને ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અરજદાર બોર્ડને કહ્યું હતું કે આ જમીન પર ગુરૂદ્વારા વર્ષોથી છે, જેથી આ ગુરૂદ્વારાને ત્યાં જ રહેવા દો. પ્રતિવાદી પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ સંપત્તિ વક્ફની નથી રહી કેમ કે તેના તત્કાલીન માલિક મોહમ્મદ અહસાને જમીનને વર્ષ ૧૯૫૩માં જ વેચી દીધી હતી. અગાઉ દિલ્હી હાઇકોર્ટમાં સાબિત થયું હતું કે આ જમીન હીરાસિંહની છે, તેમણે આ જમીન મોહમ્મદ અહસાન પાસેથી વર્ષ ૧૯૫૩માં ખરીદી હતી.