![]()
Air India: અમદાવાદમાં 12 જૂને પ્લેન ક્રેશ થયા બાદથી એર ઈન્ડિયા સતત ચર્ચામાં રહ્યું છે. એવામાં હવે ભુજથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ 15 જેટલાં મુસાફરોને સમયસર હાજર હોવા છતાં મુકીને જતી રહી. જેનું કારણ ફ્લાઇટમાં જગ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
શું હતી ઘટના?
ભુજ એરપોર્ટ પરથી શનિવારે (12 જુલાઈ) એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુસાફરો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભુજથી મુંબઈ જતી ફ્લાઇટે 15 જેટલા મુસાફરોને લીધા વિના જ જતી રહી હતી. મુસાફરોનો દાવો છે કે, તેમણે એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી અને ફ્લાઇટના સમય પહેલાં એરપોર્ટ પર હાજર હોવા છતાં ફ્લાઇટ તેમને મૂકીને જ જતી રહી. ક્રૂનું કહેવું હતું કે, ફ્લાઇટમાં જગ્યા નથી. જોકે, ત્યારબાદ એર ઈન્ડિયા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નહતી આવી.
આ પણ વાંચોઃ મેલ કરો ચેકિંગ કરાવી દઈશું! સુરત મેયર દ્વારા ONGC બ્રિજની તપાસની માગ સામે NHIના અધિકારીનો નફ્ફટાઈ ભર્યો જવાબ
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી
વીડિયોમાં એક વ્યક્તિ એર ઈન્ડિયાના મહિલા અધિકારી સાથે વાત કરી રહ્યા છે, જેમાં મુસાફર કહે છે કે, મારા દીકરાની દોઢ વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી. ફ્લાઇટ અમને મૂકીને જતી રહી અને તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી. ત્યારબાદ મહિલા ક્રૂ મેમ્બર કહે છે કે, અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું પરંતુ, હાલ કોઈ ફ્લાઇટ નથી એટલે તમારે સાંજ સુધી રાહ જોવી પડશે. આ સાંભળતા જ ત્યાં હાજર મુસાફરો રોષ વ્યક્ત કરે છે અને એર ઈન્ડિયાની આ ગંભીર બેદરકારી સામે વિરોધ કરતા જોવા મળે છે.
આ પણ વાંચોઃ ખાડાને લીધે કોઈ મૃત્યુ પામે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ થશે, વલસાડ કલેક્ટરનો નિર્ણય
નોંધનીય છે કે, જ્યારે મુસાફર દ્વારા રિફન્ડ માંગવામાં આવ્યું ત્યારે એર ઈન્ડિયા દ્વારા ગોળ-ગોળ સવાલ કરવામાં આવી રહ્યા હતા. જોકે, એર ઈન્ડિયા દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.










