Amreli News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા વન્યજીવોના સંરક્ષણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ વનવિભાગે વાલજી વાસુર માતંગ નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
સાવરકુંડલામાં શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ
પ્રાથમિક માહિતી અનુસાર, વનવિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે સાવરકુંડલાના સીમરણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પાસેથી ગીરના શાન ગણાતા એશિયાટિક સિંહના 2 નખ અને જૂનવાણી સમયનું કાળિયાર હરણનું ચામડું મળી આવ્યું હતું.
આ ઘટના બાદ વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વનવિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું આરોપીએ સિંહનો શિકાર કર્યો છે કે પછી અન્ય કોઈ રીતે આ નખ મેળવ્યા છે. કાળિયારના ચામડાની પણ સઘન તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત
વન્યજીવોના અવશેષો મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં ચિંતા વ્યાપી છે. વનવિભાગ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવા પ્રયાસ કરી રહ્યું છે, જેથી વન્યજીવોના શિકાર અથવા તેમના અવશેષોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવી શકાય.