Immigration Bill Passed in Lok Sabha: લોકસભામાં ગુરૂવારે ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે (27 માર્ચ) જણાવ્યું હતું કે, ‘સરકાર પ્રવાસીઓ તરીકે અથવા શિક્ષણ, આરોગ્ય અને વ્યવસાય માટે ભારત આવવા માગતા લોકોને આવકારવા તૈયાર છે, પરંતુ જેઓ ખતરો ઉભો કરે છે તેમની સાથે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે.’
‘દેશ કોઈ ધર્મશાળા નથી’
અમિત શાહે કહ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ફક્ત એવા લોકોને ભારત આવતા અટકાવશે જેમના ઇરાદા ખોટા છે. દેશ કોઈ ધર્મશાળા નથી. જે લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ દેશના વિકાસમાં યોગદાન આપવા માટે દેશમાં આવે છે, તો તેનું હંમેશા સ્વાગત છે.’
‘દેશની સુરક્ષા મજબૂત બનાવશે’
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘પ્રસ્તાવિત કાયદો દેશની સુરક્ષાને મજબૂત બનાવશે, અર્થતંત્ર અને વેપારને વેગ આપશે, તેમજ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોને ઉત્તેજીત કરશે. ઇમિગ્રેશન બિલ એ સુનિશ્ચિત કરશે કે દેશને ભારતમાં આવતા દરેક વિદેશી વિશે નવીનતમ માહિતી મળે.’