![]()
નવી દિલ્હી : ૧૧ જુલાઈના રોજ પૂરા થયેલા પખવાડિયામાં બેંકો દ્વારા આપવામાં આવેલી લોનનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે નજીવો વધીને ૯.૮ ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન થાપણોમાં વૃદ્ધિ ૧૦.૧ ટકાના દરે સ્થિર રહી હતી.
ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, લોન વૃદ્ધિ કરતાં થાપણોમાં વૃદ્ધિ વધુ રહી છે, જોકે આ તફાવત ૩૦૦ બેસિસ પોઇન્ટ સુધી ઘટી ગયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન, બેંકિંગ સિસ્ટમની લોનમાં ૧૪ ટકાનો વધારો થયો હતો, જ્યારે થાપણોમાં ૧૧.૩ ટકાનો વધારો થયો હતો.
જો આપણે એકંદર આંકડાઓ પર નજર કરીએ તો, તાજેતરના આંકડા મુજબ, બેંકો દ્વારા આપવામાં આવેલી લોન ૧૮૪.૬૩ લાખ કરોડ રૂપિયા છે, જ્યારે થાપણો ૨૩૩.૨૫ લાખ કરોડ રૂપિયા છે. પખવાડિયા દરમિયાન લોનમાં ૨૩,૦૩૬ કરોડ રૂપિયા અને થાપણોમાં ૯૯,૯૦૯ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
પાછલા પખવાડિયામાં કુલ લોન અને થાપણો અનુક્રમે ૧૮૪.૮૩ લાખ કરોડ રૂપિયા અને ૨૩૪.૨૫ લાખ કરોડ રૂપિયા રહી હતી મે ૨૦૨૪ માં લોન વૃદ્ધિ લગભગ ૨૦ ટકાના ઉચ્ચ સ્તરથી તીવ્ર ઘટાડો થયો છે. બેંકિંગ ઉદ્યોગે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં લોન વૃદ્ધિ ૧૧ ટકા નોંધાવી હતી, જ્યારે થાપણો ૧૦.૨૬ ટકા વધી હતી.
બેંકરોએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં લોન વૃદ્ધિમાં મંદી તીવ્ર રહી છે, કારણ કે ધિરાણકર્તાઓ અસુરક્ષિત રિટેલ, માઇક્રોફાઇનાન્સ વ્યવસાયમાં વધતા ડિફોલ્ટ વચ્ચે સંપત્તિ ગુણવત્તાને પ્રાથમિકતા આપી રહ્યા છે.










