Supreme Court: દેશના તમામ નાગરિકો, ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધોને સુરક્ષિત ફૂટપાથ ઉપલબ્ધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં એવી ગાઈડલાઇન બનાવવા કહ્યું છે, જેનાથી દેશભરના તમામ ફૂટપાથને સુલભ અને અતિક્રમણ મુક્ત બનાવવામાં આવે. આ આદેશ ડૉ. એસ. રાજાસેકરન દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો, જેમાં તેમણે ભારતના ફૂટપાથોની દયનીય સ્થિતિ અને દિવ્યાંગોને પડતી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
દેશમાં ઘણી જગ્યાએ ફૂટપાથ જ નથી
અરજદારે જણાવ્યું કે, દેશમાં ઘણી જગ્યાએ ફૂટપાથ જ નથી, અને જ્યાં છે ત્યાં કાં તો તૂટેલા છે અથવા અતિક્રમણનો શિકાર છે. આનાથી ન માત્ર દિવ્યાંગો માટે અવરજવર મુશ્કેલ બને છે, પરંતુ સામાન્ય રાહદારીઓનો જીવ પણ જોખમમાં મુકાય છે. અરજીમાં બંધારણની કલમ 14 અને 21નો ઉલ્લેખ કરીને દલીલ કરવામાં આવી હતી કે દરેક નાગરિકને સમાનતા અને જીવનનો અધિકાર છે, જેમાં સુરક્ષિત રીતે ચાલવું પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને ગાઈડલાઇન બનાવવા આદેશ
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું કે આ વિષય પર હજુ સુધી કોઈ ઠોસ રાષ્ટ્રીય ગાઈડલાઇન નથી. તેથી કેન્દ્ર સરકારે ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિયમો બનાવવા પડશે. પ્રથમ, બધા નવા અને જૂના રસ્તાઓ પર ટેકનિકલ ધોરણો સાથે ફૂટપાથ રાખવા ફરજિયાત બનાવો. બીજું, ડિઝાઈન એવી હોવી જોઈએ કે દિવ્યાંગજનોને ક્યાંય પણ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ત્રીજું, અતિક્રમણ દૂર કરવા અને અટકાવવા માટે અસરકારક વ્યવસ્થા સુનિશ્ચિત કરો.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે આવતા અઠવાડિયે થશે મુલાકાત! ટૂંક સમયમાં થશે જાહેરાત
સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, જો કેન્દ્ર સરકાર નિર્ધારિત સમયમર્યાદામાં ગાઈડલાઇન નહીં બનાવે તો કોર્ટ પોતે એમિકસ ક્યુરી (કોર્ટના મિત્ર)ની મદદથી ગાઈડલાઇન તૈયાર કરશે. આ સાથે જ રાજ્યોને આ રાષ્ટ્રીય ગાઈડલાઇન અપનાવવાની અથવા પોતાની ગાઈડલાઇન બનાવવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ ધોરણો સમાન હોવા જોઈએ.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તે આ મુદ્દા પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું સોગંદનામું દાખલ કરે. આગામી સુનાવણી 1 સપ્ટેમ્બર, 2025ના રોજ થશે, જેમાં કેન્દ્ર અને રાજ્યોની જવાબદારીની સમીક્ષા કરવામાં આવશે. કોર્ટના આ આદેશથી દિવ્યાંગો અને રાહદારીઓના અધિકારોને મજબૂતીથી સામે રાખવામાં આવ્યા છે.