![]()
ધંધાદારી કોલેજોએ પાછલા બારણેથી અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા : પોણા બે લાખ બેઠકો ખાલી હોવા છતાં ગ્રાન્ટેડ કોલેજોને એડમિશનનો કોઈ અધિકાર નથી : પ્રવેશ પ્રક્રિયા ફલોપ પુરવાર છતા તમાશો જોતુ શિક્ષણ તંત્ર
રાજકોટ, : રાજય સરકારની સરકારી યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજોમાં શૈક્ષણિક કેલેન્ડર મુજબ 14 જુનથી શરૂ થઈ ગયેલાં શૈક્ષણિક સત્ર બાદ હજુ આજ સુધી એડમિશન પ્રક્રિયા અધુરી રહેતાં કોલેજનાં નવા પ્રવેશાર્થી માટેનું શિક્ષણકાર્ય ચાલુ થયુ નથી. કેનદ્યકૃત પ્રવેશ પધધતિ જીકાસ પોર્ટલ ઉપર એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા પછી ઓનલાઈન એડમિશનના 20 રાઉન્ડ પુરા થયા બાદ રાજયની 4,70,000 બેઠકોમાંથી માંડ 2,95,000 બેઠકો ભરાઈ છે. હજુ 1,75,000 બેઠકો કોલેજોમાં ખાલી છે.
ઓનલાઈન પ્રવેશમાં ટેકનીકલ ક્ષતિઓ સુધરતી નથી જાણે ખાનગી કોલેજોને ધનલાભ કરાવી દેવાના ખેલ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળે છે. રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં એડમિશન માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જી.કાસનું ઓનલાઈન પોર્ટલ તા. 9મેના રજીસ્ટ્રેશન રાઉન્ડ સાથે કલ્લું મુકવામાં આવ્યું હતું. ધો. 12નાં પરિણામ બાદ ઓનલાઈન એડમિશન માટેનું પોર્ટલ 10 દિવસ ખુલ્લુ રાખવામાં આવ્યા બાદ પ્રવેશનો પ્રથમ તબક્કે તા.26 મેથી શરૂ થયો હતો. જેમાં વિદ્યાર્થીએ ઓનલાઈન ઓફર લેટર સાથે કોલેજમાં એડમિશન મેળવી લેવાનું હતું. ત્યારબાદ તા. 30 મે તા. 3 જુન, તા. 6 જુનનાં ચાર તબક્કામાં એડમિશન પ્રક્રિયા પુરી થઈ જશે. તેમ લાગતુ હતું. પરંતુ કામગીરી અધૂરી રહી. ટેકનીકલ ક્ષતિઓ જણાતા બીજા તબક્કાનું એડમિશન શેડયુઅલ જાહેર કરાયું જેમાં તા. 29મેથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું તા. 13થી જૂનથી સુધારા વધારા કરવા માટેની છૂટ અપાઈ તા. 21 જૂનથી છઠ્ઠો રાઉન્ડ તા. 28 જૂનથી 7 મો અને તા. 2 જુલાઈથી આઠમો એડમિશન રાઉન્ડ શરૂ થયો. પરંતુ પ્રવેશ કામગીરી અધુરી રહેતા ફરીને 2025- 2026 માં સ્પેશ્યલ એડમિશન તબક્કો 1 તા. 2 જુલાઈથી શરૂ કરાયો. રજીસ્ટ્રેશન બાદ તા. 7થી 11 જુલાઈ સુધીમાં એડમિશન વધારાના પાંચ રાઉન્ડ જાહેર થયા તા. 14 જુલાઈથી ખાસ તબક્કો -2 જાહેર કર્યા બાદ તા. 24થી 29 જુલાઈ દરમિયાન વધુ ચાર તબક્કા મળી કુલ 20 તબક્કા પ્રવેશના પુરા થયા હોવા છતાં આજ સુધી કોલેજની પ્રવેશ પ્રક્રિયા પુરી થઈ નથી. પોણાબે લાખ બેઠકો આજે પણ ખાલી છે. ઓનલાઈન એડમિશનમાં ટેકનીકલ ક્ષતિઓ જણાવતા તજજ્ઞાો ઉમેરે છે કે, મેરીટ મુજબ જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધુ હોય તેનું નામ રદ થતુ પરિણામે તેનાથી નીચેના મેરીટક્રમ વાળા વિદ્યાર્થીને એડમિશન મળતુ નથી. આ મુદ્દે અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સાંભળતું નથી. પરિણામે એડમિશન પ્રક્રિયા પુરી થતી જ નથી. બીજુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને ખાલી બેઠકો ઉપર એડમિશનની છૂટ આપવા અંગે શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. આ સ્થિતિમાં રાજયની સરકારી યુનિવર્સિટીનાં તમામ કુલપતિઓ જાણે તમાશો જોઈ રહ્યાં હોય તે રીતે સરકારની વાહવાહી કરી રહ્યાં છે. પરિણામે ખાનગી કોલેજોને મોજ પડી ગઈ છે. જાણે આ ખાનગી કોલેજોને ધનલભ કરાવી દેવાનો ખેલ રચાયો હોય તેમ એડમિશનના રાઉન્ડનું ચક્કર લાંબા સમયથી ચાલતુ રહ્યું છે જે કયારે અટકશે તે નક્કી નથી.










