![]()
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના કાંઠા વિસ્તારમાંથી દબાણો દૂર કરીને આશરે પાંચ લાખ ઘન મીટર માટી/કાપ નદીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ કામગીરીના પરિણામે નદીની વહન ક્ષમતામાં આશરે 17.77 એમસીએફટી જેટલો વધારો થયો છે.
જામનગર શહેરની માધ્યમાંથી પસાર થતી રંગમતી નદીની દરેડ ખોડીયાર મંદિરથી વ્હોરા હજીરા સુધીની લંબાઈની નદીની હદ દિશાનો સર્વે કરી અને બંને બાજુના કાંઠા વિસ્તારોમાં દબાણોની ઓળખ કરવામાં આવેલ. ત્યારબાદ સદરહુ સ્ટ્રેચના દબાણોને અલગ અલગ પોકેટમાં વિભાજીત કરી અને તેમના દબાણો મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દુર કરવામા આવ્યા હતાં. તેમજ રંગમતી નદી કાંઠાના મહાનગરપાલિકાના રે.સર્વે નં. 298 પૈકીની જમીનમાં દબાણો થયેલ હતા. આ દબાણોને બે પોકેટમાં વિભાજીત કરી અને તેમના દબાણો એસ્ટેટ શાખા દ્વારા દુર કરવામાં આવ્યા હતા. રંગમતી-નાગમતી નદીના સંગમ સ્થાને જમણા કાંઠા પર બિનકાયદેસર દબાણ અને અંદાજીત 2 હેક્ટર જગ્યામાં ખેતી વિષયક દબાણો દુર કરવામાં આવેલ છે.
રંગમતી નદીના દરેડ ખોડીયાર મંદિરથી વ્હોરા હજીરા સુધીની લંબાઈના સ્ટ્રેચમાં મહાનગરપાલિકા દ્વારા નદીના કામમાં નિયુક્ત કરેલ કન્સલ્ટન્ટ દ્વારા નદીની હાયડ્રોલોજી અને હાયડ્રોલીક્સનો અભ્યાસ કરી અને તેના આધારે જુદી જુદી જગ્યા પર અલગ અલગ ડીઝાઇન સેક્શન મુજબ ખોદાણ માટે લેવલ નક્કી કરવામાં આવ્યું હતું, જેના પ્રથમ તબક્કામાં પ્રાથમિક લેવલે મહાનગરપાલિકા દ્વારા નદીના ખોદાણ માટે અભિયાન હાથ ધરવામાં આવેલ. જેના માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રાઇવેટ ડેવલોપર્સનો સંપર્ક સાધી અને તેઓનો આ અભિયાનમાં સહયોગ લીધો હતો. તેમજ વર્ષાઋતુ આવતી હોય, અને કામ તાત્કાલિક કરવું પડે તેમ હોય કે જેથી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વખતો વખત મહાનગરપાલિકાના નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થાય. જેને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકામાં મંજુર થયેલ મશીનરીના ભાવોથી નદીને તેની મૂળ પહોળાઈ સુધી પહોળી તથા ઊંડી કરવાના કામનો સ્ટેન્ડીંગ કમિટીના ઠરાવથી સૈધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા દ્વારા સૂચવેલ લોકેશન પર અને સૂચવ્યા મુજબ નદીને ઊંડી અને પહોળી કરવા માટે અલગ અલગ કોન્ટ્રાક્ટર પાસેથી સહમતી મેળવી અને કામગીરી ચાલુ કરાવવામાં આવી હતી.
રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાનુ સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રાઇવેટ ડેવલોપર્સ અને કોન્ટ્રાક્ટર્સ દ્વારા તારીખ 10 એપ્રિલ 2025 થી 22 જુન 2025 સુધીના ગાળામાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ, તેમજ તેનું ડે-ટુ-ડે સુપરવિઝન મહાનગરપાલિકાના એન્જીનીયર દ્વારા કરવામાં આવેલ તથા ડે-ટુ-ડે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ડ્રોન દ્વારા કરવામાં આવેલ છે. અને તમામ મશીનરીના રેકર્ડસ નિભાવવામાં આવેલ આવ્યા છે.
આ કામગીરીમાં અંદાજીત 5,03,000 ઘનમીટર માટી/કાંપ નદીમાંથી દુર કરવામાં આવ્યો છે. જેમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે રીલાયન્સ, નયારા એનર્જી અને પ્રાઇવેટ ડેવલોપર્સ દ્વારા અંદાજીત 39,050 ઘનમીટર માટી/કાંપ નદીમાંથી દુર કરવામાં આવેલ છે. જેનો મહાનગરપાલિકામાં મંજુર થયેલ ભાવો મુજબ ખર્ચ રૂ.1.79 કરોડ થવા પામ્યો છે. પરંતુ તેનું ચુકવણું મહાનગરપાલિકાને કરવાનું થતું નથી. તેમજ તેનો રેકર્ડ અલગથી મહાનગરપાલિકા દ્વારા નિભાવવામાં આવેલ છે. આ તમામ કામગીરીથી નદીની વહનક્ષમતામાં અંદાજીત 17.77 એમ સી એફ.ટી જેટલો વધારો થયો છે. મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીનો અહેવાલ વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ કામગીરીથી મહાનગરપાલિકાના વોર્ડ નં. 4, 10, 11, 12 અને 16 નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે. તેમ જામનગર મહાનગરપાલિકા સિટીએ જણાવ્યું છે.










