Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના પરિણામે પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મધુવંતી નદીના પાણી પણ ગામોમાં ઘૂસી ગયા છે. શિંગોડા ડેમ અને હિરણ-2 ડેમના તમામ 7 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાજલી માર્કેટિંગ યાર્ડ પાસેના પુલ પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના આઠ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદથી ગામોમાં પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હાલ માછીમારી માટે હવામાન સાનુકૂળ નથી. ભારે પવન ફૂંકાવાની શક્યતાં જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તેમજ દરિયામાં રહેલી તમામ બોટ્સને પણ તાત્કાલિક અસરથી પરત ફરવા જણાવવામાં આવ્યું છે.
ધારતડી ડેમના 10 દરવાજા ખોલ્યા
અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધાતરવાડી ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે હિરણ, ઉમરેઠી વગેરે જેવાં ડેમોમાં પાણીની આવક વધતાં દરવાજા ખોલવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શિંગોડા અને હિરણ-૨ ડેમ 100% ભરાયા છે, જ્યારે અન્ય ડેમ 80% ભરાયાં છે. જેના કારણે વેરાવળ, તાલાલા અને કોડિનાર તાલુકાનાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, વેરાવળના સવની ગામ નજીક આવેલો ગાગડીયા ધોધ પણ જીવંત થયો છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
કંટ્રોલ રૂમ શરૂ
વહીવટીતંત્ર દ્વારા 35-40 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
ગત બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા કોઝવે પરથી અચાનક જ પાણીનો પ્રવાહ વધી શકે છે. જેને ધ્યાને લઇ અને સલામતીના પગલાને અનુસરતાં નીચાણવાળા વિસ્તારમાં અને કૂતુહલવશ નદી-નાળા પાસે ન જવા અને નાગરિકને મુશ્કેલી કે સમસ્યા હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1077 પર ત્વરિત જાણકારી આપવા કલેક્ટરએ નાગરિકોને અનુરોધ કર્યો છે.
વહીવટી તંત્ર સજ્જ બન્યું
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે, અનેક નદી-નાળા છલકાઈ ગયા છે, અને ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે. આગામી સમયમાં પણ હવામાન તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને અનુલક્ષીને કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઇ
હવામાન તંત્રની આગાહીને અનુલક્ષી આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલા અને સાવચેતી રાખવા સંદર્ભે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં ક્યાંય પણ વૃક્ષો ધરાશાયી થયા હોય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવી અને રસ્તો ખૂલ્લો કરાવવામાં આવી રહ્યો છે. કેટલાક ગામોને બાદ કરતાં હાલ વીજળીનો પુરવઠો પણ અવિરત ચાલુ છે. જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે, ત્યાં તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરી અને ત્વરિત પુરવઠો ચાલુ કરવામાં આવી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ 28 ઇંચ વરસાદ
જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે જિલ્લામાં ઉપસ્થિત થયેલી સ્થિતિનો ચિતાર આપતાં કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આજ સવાર થી બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કુલ મળીને અત્યાર સુધીમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ 28 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 18 જિલ્લામાં રેડ એલર્ટ અને 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
15 જિલ્લામાં રેડ એલર્ટ
કચ્છ, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી
18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી અને ડાંગ