![]()
Surat Ganeshotsav : સુરત શહેરમાં ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારી થઈ રહી છે. તંત્ર અને રાજકીય નેતાઓ દ્વારા પર્યાવરણની જાળવણી માટે અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ આ અપીલ વચ્ચે સુરત શહેરમાં હજારોની સંખ્યામાં પીપીઓની શ્રીની પ્રતિમા વેચાણ માટે આવી ગઈ છે. શહેરના મોટા ભાગના બ્રિજ અને ફુટપાથ પર આ પ્રતિમા વેચાણ માટે મુકી દેવામાં આવી છે. પીઓપીની પ્રતિમાનું વેચાણ કરનારાઓએ પાલિકાનું બસ સ્ટેન્ડ પણ છોડ્યું નથી અને તેને પણ દુકાન બનાવી દીધી છે.
વહિવટી તંત્ર, સુરત પાલિકા અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ દ્વારા સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ઈકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાની સ્થાપના થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. ગણેશોત્સવ પહેલા લોકોને ઈકો ફ્રેન્ડલી પ્રતિમા માટે અપીલ કરવામા આવે છે પરંતુ તે અપીલની લોકો પર વધુ અસર થતી નથી. સુરતમાં ગણેશોત્સવ પહેલા હજારોની સંખ્યામાં પીઓપીની પ્રતિમા વેચાણ માટે આવી ગઈ છે.
સુરત બહારથી પીઓપીની પ્રતિમાનું વેચાણ કરનારા લોકો સુરતના વિવિધ બ્રિજ અને ફુટપાથ પર ગણેશજીની પ્રતિમા વેચાણ માટે ગોઠવી દીધી છે. તો સેન્ટ્રલ પોઈન્ટથી સિવિલ જતા રોડ પર તો પાલિકાના સિટી બસ સ્ટેન્ડને પણ પીઓપીની પ્રતિમાનું વેચાણ કરનારાઓએ દુકાન બનાવી બસ સ્ટેન્ડમાં જ સંખ્યાબંધ શ્રીજીની પ્રતિમા ગોઠવી દીધી છે.
સુરતમાં નદી કે તળાવ પર પ્રતિમા વિસર્જન માટે એન.જી.ટી.નો પ્રતિબંધ હોવાથી પાલિકા કૃત્રિમ તળાવ બનાવે છે અને હજારો લીટર પાણી આ પ્રતિમાના વિસર્જન માટે ઉપયોગ કરે છે. આ પાણીને ટ્રીટ કર્યા બાદ તેનો નિકાલ કરવામાં આવે છે તેના કારણે આર્થિક ભારણ પણ વધે છે.
સુરત પાલિકા-તંત્ર અને પર્યાવરણ પ્રેમીઓ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા સ્થાપવા માટે અપીલ કરી રહ્યાં છે અને તેની વચ્ચે હજારોની સંખ્યામાં સુરતમાં પીઓપીની પ્રતિમા આવી ગઈ છે. તેના કારણે વિસર્જન દરમિયાન મુશ્કેલી પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.










