– ફરિયાદના આધારે ભાવનગર મનપાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી
– ફૂડ વિભાગે ગુલાબ જાંબુ, ચાઇનીઝ ભેળ, છાશ, રજવાડી ઢોકળી વગેરેના નમૂના લીધા, ઘઉંના ફાડા અને મરીનો પાવડર એક્સપાયરી તારીખનો મળ્યો, જથ્થાનો નાશ કરાયો
ભાવનગર : ભાવનગર શહેરના રીંગ રોડ પર આવેલ એક રેસ્ટોરન્ટમાં બે દિવસ પૂર્વે રાત્રીના જમ્યા બાદ કેટલાક લોકોને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી, જેના પગલે મહાપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી અને કેટલાક ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં. આ ઉપરાંત કેટલોક ખાદ્યપદાર્થ એક્સપાયરી તારીખનો હોવાથી જથ્થો નાશ કરાયો હતો.
શહેરના રીંગ રોડ પર આવેલ કાઢીયાવાડી પોઇન્ટ નામની રેસ્ટોરન્ટમાં ગત તા. ર૮ માર્ચે સીનીયર સીટીઝન લોકોએ કાર્યક્રમ રાખ્યો હતો અને રાત્રીના સમયે તેઓ રેસ્ટોરન્ટમાં જમ્યા હતાં. ત્યારબાદ આશરે ર૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી હતી અને જાગૃત નાગરીકે મહાપાલિકાના ફૂડ વિભાગે જાણ કરી હતી. આ ફરિયાદના આધારે મહાપાલિકાના ફૂડ વિભાગે ગત શનિવારે તપાસ હાથ ધરી હતી અને ગુલાબ જામ્બુ, ચાઇનીઝ ભેળ, છાશ, રજવાડી ઢોકળી વગેરે ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં. આ તમામ નમૂનાઓ તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવેલ છે અને રીપોર્ટ આવ્યા બાદ વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉપરાંત રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે તપાસ કરતા ઘઉંના ફાડા અને મીરના પાવડરનો આશરે ર-૩ કિલો જથ્થો એક્સપાયરી તારીખનો મળી આવ્યો હતો તેથી આ જથ્થાનો ફૂડ વિભાગે નાશ કર્યો હતો તેમ મહાપાલિકાના ફૂડ વિભાગે માહિતી આપતા જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના ફૂડ વિભાગે તમામ રેસ્ટોરન્ટ ધારકો અને મેનેજરોને તાલમી આપી હતી, જેમાં શું સાવચેતી રાખવી, ખાદ્યપદાર્થના પેકેટમાં એક્સપાયરી તારીખ ખાસ જોવી વગેરે બાબત જણાવી હતી છતાં કેટલાક રેસ્ટોરન્ટ ધારકો બેદરકારી દાખવતા હોય છે, જેના કારણે લોકોના આરોગ્યને નુકશાન થતુ હોય છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરની રેસ્ટોરન્ટોમાં અકસ્મીક તપાસ કરવામાં આવશે તેમ ચર્ચાય રહ્યુ છે.