![]()
– જીએસટી રિફોર્મ્સથી કેન્દ્ર સરકારને રૂ. 40,000 કરોડનો ફટકો પડવાની શક્યતા
– પાંચ, 18, અને 40 ટકા એમ ત્રણ સ્લેબ રખાશે : જીએસટીના નવા દરનો વહેલા અમલ કરી શકાય તે માટે જીએસટી પરિષદની બેઠક આગામી સપ્તાહે બોલાવાઇ
અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ચાર સ્લેબમાંથી બે સ્લેબ કરીને અમલ કરવાના નિર્ણયનો આગામી દશેરા એટલે કે ૨૨મી સપ્ટેમ્બરથી અમલમાં આવે તેવી ધારણા છે. દિવાળી પૂર્વે થનારી ખરીદીની ધમધમાટને પરિણામે જીએસટીની આવકમાં થનારા સંભવિત ઘટાડાનો આરંભમાં ફટકો ન પડે તે માટે દિવાળી પૂર્વે જ નવી સિસ્ટમને અમલમાં મૂકી દેવાનું સરકાર વિચારી રહી છે. જોકે, જીએસટીના સ્લેબમાં આ ફેરફારના કારણે સરકારને લગભગ રૂ. ૪૦,૦૦૦ કરોડનો ફટકો પડવાની સંભાવના છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ જીએસટીના નવા માળખાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક પર અસર પડશે.
નવી જીએસટી વ્યવસ્થામાં કરપ્રણાલિને સરળ કરવા બે ટેક્સ સ્લેબ પાંચ અને ૧૮ ટકા અમલમાં આવશે. આ સિવાય અલ્ટ્રાલક્ઝરી ગુડ્સ અને લોકોના આરોગ્ય પર વિપરીત અસર કરતાં અને સરકારની હેલ્થ કોસ્ટમાં વધારો કરતી તમાકુની બનાવટો પર ૪૦ ટકાનો ત્રીજો સ્લેબ લાવવામાં આવશે. આ વસ્તુઓ પર સેસ પણ મોટા પ્રમાણમાં લેવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા જીએસટી અને ટીડીએસ કલેકશનમાં કેન્દ્રને લગભગ રૂ. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન થશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
મોટાભાગની સેવાઓમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ વ્યક્તિગત આરોગ્ય સેવા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પરનો જીએસટી નાબૂદ કરવામાં આવે તેવી સંભાવના છે. સિનિયર સિટીઝન્સને તો બહુધા આરોગ્ય વીમાના પ્રીમિયમ પર શૂન્ય ટકા જીએસટી ભરવાનો આવે તેવી વ્યવસ્થા નિર્માણ કરવાનો સરકાર ઇરાદો ધરાવે છે.
નવી વ્યવસ્થાને કારણે તમામ ગણિતો માંડયા પછી કેન્દ્ર સરકારની જીએસટીની આવકમાં ઓછામાં ઓછં રૂ. ૪૦,૦૦૦ કરોડનું ગાબડું પડવાની ધારણા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સચિવાલયની ફિટમેન્ટ કમિટીએ કઈ વસ્તુઓના જીએસટીના દર ઘટાડવા અને કઈ વસ્તુઓના જીએસટીના દરમાં વધારો કરવો તે અંગેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી લીધો છે. કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકારની આવકમાં પણ ગાબડાં પડવાની સંભાવના રેહીલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ આ ઘટનો બોજ વેંઢારવા તૈયાર રહેવું પડશે. કેન્દ્ર સરકારની ટીડીએસની આવકમાં પણ ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે.
જોકે, સરકારને આશા છે કે વર્તમાન જીએસટી પ્રણાલિમાં થયેલા ફેરફારથી થનારું નુકસાન કામચલાઉ હશે, પરંતુ તેનાથી થનારા ફાયદા કાયમી હશે. તેની ભરપાઈ ગ્રાહક ખર્ચ વધારીને કરી શકાશે. આ વર્ષના આરંભમાં કેન્દ્રએ ૧૨.૭૫ લાખની વાર્ષિક આવક ધરાવનારાઓ માટે આવકવેરામાં છૂટ આપવામાં આવી છે, જેથી ખરીદીને પ્રોત્સાહન મળે.
જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠક ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ મળશે. અગાઉ આ બેઠક સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ અથવા ઑક્ટોબરના પહેલા સપ્તાહમાં મળવાની હતી. પરંતુ જીએસટીના નવા દરોને દશેરા સુધીમાં લાગુ કરવા માટે જીએસટી કાઉન્સિલની બેઠક આગામી સપ્તાહે યોજાય તેવી શક્યતા છે.










