![]()
મુંબઈ : ૨૭ ઓગસ્ટથી ભારતના માલસામાન પર લાગુ થનારી એકંદર ૫૦ ટકા ટેરિફથી ભારતની અમેરિકા ખાતેની નિકાસને ફટકો પડશે જ્યારે વિયેતનામ તથા ચીન સહિતના અન્ય દેશોને તેનો લાભ મળી રહેશે. ભારતની સરખામણીએ વિયેતનામ તથા ચીનના માલસામાન પર નીચી ટેરિફ લાગુ કરવામાં આવી છે. નિકાસકારો સામેના પડકારો જાણી લેવા રિઝર્વ બેન્ક વર્તમાન સપ્તાહમાં નિકાસકારો સાથે ખાસ બેઠક કરવા યોજના ધરાવે છે.
૫૦ ટકા ટેરિફને કારણે વિશ્વના પાંચમાં મોટા અર્થતંત્ર ભારત સામે મોટા પડકારો ઊભા થશે.
ભારત પર વધારાની ૨૫ ટકા ટેરિફ વસૂલવા સંદર્ભની નોટિસ અમેરિકાના વહીવટીતંત્ર દ્વારા સોમવારે જારી કરવામાં આવી હતી.
અમેરિકામાં ઉપભોગ માટે આવનારા અથવા ઉપભોગ માટે વેરહાઉસમાંથી મેળવાનારા ભારતના માલસામાન પર ૨૭ ઓગસ્ટથી ૨૫ ટકા વધારાની ડયૂટી વસૂલાશે એમ હોમલેન્ડ સિકયુરિટી વિભાગ દ્વારા જારી કરાયેલ નોટિસમાં જણાવાયું છે.
ભારત પર ઊંચા ટેરિફને કારણે તેના સ્પર્ધક દેશો વિયેતનામ તથા ચીનને મોટો લાભ થઈ રહેશે એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ દ્વારા જણાવાયું છે.
અમેરિકામાં થતી ભારતની વાર્ષિક ૮૫ અબજ ડોલરની નિકાસમાંથી આ ટેરિફને કારણે ૬૦ અબજ ડોલરની નિકાસ પર અસર પડવાની શકયતા છે. જેની નિકાસ પર અસર પડવાની શકયતા છે તેમાં ટેકસટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કારપેટસ તથા ફર્નિચરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં ભારતની સ્પર્ધાત્મકતા ઘટી જશે જ્યારે મેક્સિકો, ચીન, વિયેતનામ, તુર્કી, પાકિસ્તાન જેવા દેશોને લાભ થશે. આ દેશો પર ભારતની સરખામણીએ પ્રમાણમાં નીચી ટેરિફ લાગુ કરવામાં આવી છે.
અમેરિકા દ્વારા લાગુ કરાયેલી વધારાની ૨૫ ટકા ટેરિફ સાથે ભારતના માલસામાન પર એકંદર ૫૦ ટકા ટેરિફની સ્થિતિમાં કેવા પ્રકારના ટેકાની આવશ્યકતા છે તેની જાણકારી મેળવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વર્તમાન સપ્તાહમાં દેશના નિકાસકારો સાથે ચર્ચાવિચારણા કરશે.
વર્તમાન સપ્તાહના અંત ભાગમાં રિઝર્વ બેન્ક સાથે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. ૫૦ ટકા ટેરિફથી નાના તથા મધ્યમ કદના ઉદ્યોગને મોટો ફટકો પડવાની ચિંતા છે. નાના તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો મૂલ્ય સાંકળના ભાગ છે.










