Surat Crime: સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં તત્કાલિન અમરેલીના પોલીસ અધિક્ષક (SP) જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અનંત પટેલને પણ અમદાવાદ સેશન્સ કોર્ટે 14 લોકોને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો ગુજરાતમાં પોલીસ અને રાજકારણીઓની સંડોવણીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
શું હતો કેસ?
વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો આ કેસ સામે હતો. શૈલેષ ભટ્ટનું પીઆઈ અનંત પટેલ સહિતની પોલીસ ટીમે અપહરણ કર્યું હતું. અપહરણકારોએ તેમને ગાંધીનગર નજીક લઈ જઈને તેમની પાસેથી 9 કરોડ રૂપિયાની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી સામે આવી હતી.
આ પણ વાંચોઃ જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ
આ કેસમાં અમરેલીના પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમ સરકારી વાહનોનો ઉપયોગ કરીને શૈલષ ભટ્ટનું અપહરણ કર્યું હતું અને ત્યાર પછી તેના પાસે ખંડણી પણ માંગી હતી. આ દરમિયાન સીઆઈડી ક્રાઈમે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલિન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નલિન કોટડિયાની ભૂમિકા
આ સમગ્ર ઘટનામાં નલિન કોટડિયાની ભૂમિકા “ફિક્સર” તરીકેની હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેમનું નામ બહાર આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી પોલીસની પકડમાંથી ફરાર રહ્યા હતા. લાંબો સમય ફરાર રહ્યા બાદ, CID ક્રાઈમે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું બહાર પાડ્યું હતું. આખરે, તેમને મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોર્ટમાં તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઘણા સમય પછી, મે 2019માં ગુજરાત હાઇકોર્ટે તેમને અમુક શરતી જામીન આપ્યા હતા.
આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા
CID ક્રાઇમમાં ફરિયાદ દાખલ
આ મુદ્દે શૈલેષ ભટ્ટે અપહરણ કરનાર પોલીસ કર્મચારીઓ અને પૂર્વ MLA નલિન કોટડિયા સામે CID ક્રાઇમ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસ આટલા સમયથી અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની ACBની વિશેષ અદાલતમાં ચાલી રહ્યો હતો.
નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના પહેલાં શૈલેષ ભટ્ટ સામે પણ અપહરણ અને પૈસા પડાવી લેવાનો આરોપ હતો. હકીકતમાં નોટબંધી બાદ સુરતની બીટ કનેક્ટ નામની કંપનીએ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાનું શરૂ કર્યુ હતું. જેમાં બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણીના પૈસા રોક્યા હતા. પરંતુ, કંપનીને તાળા વાગી જતા તેના બધા પૈસા ડૂબી ગયા હતા. જેના કારણે શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખી બીટ કનેક્ટ કંપનીના કર્મચારી અને હોદ્દેદારોનું અપહરણ કરી તેમની પાસેથી 2000થી વધુ બિટકોઇન, 11000થી વધુ લાઇટ કોઇન અને કરોડો રૂપિયા પડાવી લીધા હતા.
ત્યાર બાદ પૂર્વ ધારાસભ્ય નલિન કટોડિયાને આ વાતની જાણ થતા તેમણે શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા પ્લાન ઘડ્યો અને અમેરેલીના તત્કાલીન એસપી સાથે સંડોવણી કરી શૈલેશ ભટ્ટનું અપહરણ કરાવ્યું. ત્યારબાદ શૈલેષ ભટ્ટ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા. આ અપહરણમાં પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમ સરકારી વાહનોનો ઉપયોગ કર્યો હતો. બાદમાં આ મામલે શૈલેષ ભટ્ટે CBIના પોલીસ ઈન્સ્પેક્ટર સુનિલકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર કેસ સામે આવ્યો હતો.