![]()
Char Dham Yatra 2025 : ઉત્તરાખંડમાં મેઘરાજાએ ભયાનક તબાહી સર્જી છે. અહીં અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટનાઓ બન્યા બાદ અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રાના માર્ગ પર પણ અનેક ઠેકાણે ભૂસ્ખલન થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીજીતરફ હવામાન વિભાગે રાજ્યમાં પાંચમી ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે ચારધામ એટલે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે હેમકુંડ સાહિબ યાત્રા પણ અટકાવી દેવાઈ છે.
ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત
ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ કહ્યું કે, ‘રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે અનેક સ્થળે ભૂસ્ખલન થયા બાદ અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખી હાલ ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : ‘નવા મતદારોના વૉટ ભાજપના ખાતામાં કેવી રીતે ગયા?’ મતદાતા અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
પાંચ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ
ઉત્તરાખંડ હવામાન વિભાગે પાંચ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગઢવાલ અને કુમાઈના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ કારણે નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત વરસાદ ટાણે ભૂસ્ખલન થવાની પણ સંભાવના છે.
આ પણ વાંચો : ‘ડ્રેગન સામે હાથી ઝૂક્યું’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર










