Commonwealth Games: કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાનીની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. ભારતે અમદાવાદને દાવેદાર બનાવ્યું હતું, પરંતુ હવે એક અન્ય દેશ પણ મેદાનમાં ઉતરી આવ્યો છે. આનો અર્થ એ છે કે ભારતને મેજબાનીની રેસમાં આકરી ટક્કર મળશે.
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ભારત અને નાઇજીરીયા વચ્ચે ટક્કર
2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારત અને નાઇજીરીયા વચ્ચે સીધી ટક્કર છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ 29 ઓગસ્ટે અમદાવાદને યજમાની માટે અંતિમ પ્રસ્તાવ આપ્યો હતો. નાઇજીરીયાએ પણ 31 ઓગસ્ટની સમયમર્યાદા પહેલા ઔપચારિક બોલી લગાવી છે. આ ગેમ્સ ખાસ છે, કારણ કે 2030માં કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ ઉજવાશે.
અમદાવાદ શહેર કેમ પસંદ કરવામાં આવ્યું?
ભારત તરફથી અમદાવાદને એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે અમદાવાદ વિશ્વ-કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટી ઇવેન્ટ્સનું આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતે અગાઉ 2010માં દિલ્હીમાં સફળતાપૂર્વક કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.
નાઇજીરીયાનો પડકાર શું છે?
નાઇજીરીયાએ અબુજાને આગળ રાખીને દાવો કર્યો છે કે તે આફ્રિકામાં કોમનવેલ્થ ગેમ્સની નવી ઓળખ બનશે. જો નાઇજીરીયા જીતશે, તો આફ્રિકા ખંડમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનો આ એક ઐતિહાસિક મોકો હશે.
આગળની પ્રક્રિયા શું હશે?
કોમનવેલ્થ સ્પોર્ટ્સની ઇવેલ્યુએશન કમિશન હવે બંને દેશોની બોલીનું મૂલ્યાંકન કરશે. સપ્ટેમ્બરના અંતમાં લંડનમાં બંને યજમાન દેશોનું પ્રેઝન્ટેશન થશે. આ પછી, નવેમ્બરમાં ગ્લાસગોમાં 74 સભ્ય દેશોની જનરલ એસેમ્બલીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: જામનગરમાં મોટી કરૂણાંતિકા: 3 દિવસમાં એક જ પરિવારના 3 સભ્યોના હાર્ટ એટેકથી મોત થતાં હાહાકાર
ભારત પાસે પહેલેથી જ અનુભવ અને મજબૂત માળખાકીય સુવિધાઓ છે, જ્યારે નાઇજીરીયા માટે આ એક નવી શરૂઆત હશે. આવી સ્થિતિમાં, નિર્ણય સરળ નહીં હોય. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ અને અબુજામાંથી કોણ આ ગૌરવશાળી આયોજનની યજમાનીનો હકદાર બને છે.











