![]()
નવી દિલ્હી, ૮ સપ્ટેમ્બર,૨૦૨૫,સોમવાર
જગદિપ ધનખડેએ ઉપ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપતા આવતીકાલે આ પદ માટેની ચુંટણી માટે મતદાન થવાનું છે. ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં લોકસભા અને રાજયસભાના સભ્યો મત આપતા હોય છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીને માત્ર એક દિવસ જ બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ ચુંટણીથી દૂર રહેવાનું જાહેર કર્યુ છે. તેલંગાણામાં ચંદ્રશેખરરાવની ભારતીય રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ) અને ઓરિસ્સામાં નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજુ જનતાદળ (બીજેડી)એ મતદાનમાં ભાગ લેશે નહી. આ બંને પક્ષો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઢબંધનનો હિસ્સો નથી.
રાજકીય રીતે તટસ્થ હોવાથી બે માંથી એક પણ ગઠબંધનના ઉમેદવાર માટે મત આપવાથી દૂર રહેશે. ઉપ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં નોટાનો વિકલ્પ હોતો નથી. બીઆરએસના ૪ જયારે બીજેડીના ૭ રાજયસભા સાંસદ છે. લોકસભામાં બંને દળને એક પણ સાંસદ નથી. એનડીએના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને યુપીએના ઉમેદવાર સુદર્શન રેડ્ડી છે. આમ તો ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણી ખાસ રસપ્રદ હોતી નથી પરંતુ વર્તમાન સમયના બંને ઉમેદવારો દક્ષિણ ભારતનું બ્રેક ગ્રાઉન્ડ ધરાવતા હોવાથી તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજયો માટે કસોટી છે. નિષ્ણાતોનું માનવું છે કે આમ તો એનડીએ પાસે પોતાનો ઉમેદવાર ચુંટી શકાય તેટલી બહુમતિ છે. ક્રોસ વોટિંગ થાય અને પરિણામ બદલાય તેવી શકયતા ઓછી છે.










