![]()
– 25 હજાર હેક્ટરમાં બાજરી, ડાંગર,કેળને નુકસાન થયુ હતું
– ખેતીવાડી વિભાગે નુકસાનીનો સર્વે કરીને સરકારને રિપોર્ટ મોકલ્યો છતાં નિરાકરણ આવ્યું જ નથી
આણંદ : આણંદ જિલ્લામાં મે મહિનામાં થયેલો કમોસમી વરસાદથી ૨૫ હજાર હેક્ટરમાં કૃષિ પાકોને નુકસાન થયું હતું. આ નુકસાનનો સર્વે કર્યો છતાં હજૂ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી.જયારે મે મહિનાનું વળતર મળ્યું નથી ત્યાં ચાલુ મહિનામાં નુકસાનનું વળતર મળશે કે કેમ તે સવાલો સર્જાયા છે.
આણંદ જિલ્લામાં તા. ૩થી ૯ મે સુધી કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ડાંગર, બાજરી, કેળના પાકને ૨૫ હજાર હેક્ટરમાં નુકસાન થયું હતું. તારાપુર, પેટલાદ, સોજીત્રા, ભાલ અને બોરસદમાં કૃષિ પાકનો સોથ વળી ગયો હતો. જે તે સમયે આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ સેવકોની ટીમ બનાવીને નુકસાનનો સર્વે કર્યો હતો. સરકારે ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર આપાવની જાહેરાત કરી હતી. આણંદ જિલ્લાના ખેતીવાડી વિભાગે મે મહિનામાં કૃષિ પાકને નુકસાન મામલે સર્વેના અહેવાલ સરકારને મોકલી આપયો છે અને સરકાર પાસેથી હજુ વળતર અંગે કંઇ જવાબ આપ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા વળતર આપવામાં આવશે ત્યારે તુરંત ખેડૂતોને ચૂકવી આપવામાં આવશે.તેમ અધિકારીએ જણાવ્યું હતું.
ભાજપના 5 ધારાસભ્યો છતાં ખેડૂતોના પ્રશ્રો અધ્ધરતાલ
મે મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનનું વળતર હજુ ખેડૂતોને ચૂકવાયું નથી. આણંદ જિલ્લામાં બોરસદ, પેટલાદ, ખંભાત, સોજીત્રા, ઉમરેઠ ,આણંદમાં ભાજપના ધારાસભ્ય છે અને કેટલાક ધારાસભ્યો માત્ર પત લખીને સરકારને રજૂઆતો કરે છે અને સોશિયલ મીડિયામાં દેખાડો કરવામાં રસ હોય છે. ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોના હિત માટે ધારાસભ્યો લડી શકાતા નથી. તેમ ખેડૂતે જણાવ્યું હતું.
તાજેતરમાં પડેલા વરસાદથી કૃષિ પાકને નુકસાન મામલે સર્વે
ઓગસ્ટના છેલ્લા સપ્તાહ અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદના કારણે ચોમાસુ પાકને નુકસાન થયું હતું. આ મામલે આણંદ જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારી ચિંતન પટેલે જણાવ્યુ કે, વરસાદીથી થયેલા નુકસાનના સર્વે માટે ગ્રામ સેવકોની ટીમ બનાવીને હાલ સર્વે શરૂ કરવામા આવ્યો છે. જેની કામગીરી પૂર્ણ થયા પછી કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ આવશે.










