![]()
ઈથેનોલ મુદ્દે પેઈડ વિરોધ થઈ રહ્યો છે
વિદર્ભમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક છે, ખેડૂતો સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી અમે રોકાઈશું નહીં : ગડકરી
પૂણે: દેશમાં હાલ ઈથેનોલ મિશ્રિત ઈંધણ અંગે વિવાદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર તેમના સંતાનોને કરોડો રૂપિયાની કમાણી કરાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે તેમણે ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે. આ આક્ષેપોને નકારી કાઢતા નીતિન ગડકરીએ કહ્યું કે, તેમની પાસે માસિક રૂ. ૨૦૦ કરોડની કમાણી કરી શકે તેવું મગજ છે. તેમને રૂપિયાની અછત નથી. રૂપિયા માટે તે આટલા નીચે ઉતરી શકે નહીં. તેમને ખબર છે પ્રમાણિક્તાથી રૂપિયા કેવી રીતે કમાઈ શકાય. તેમનું લક્ષ્ય ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું છે.
માર્ગ, પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એગ્રીકોસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, શું તમને એવું લાગે છે કે હું રૂપિયા માટે આ બધું કરી રહ્યો છું? હું કોઈ દલાલ નથી. હું પ્રમાણિક્તાથી કમાણી કરવાનું જાણું છું. મારા મગજની જ કિંમત માસિક રૂ. ૨૦૦ કરોડની છે. હું કમાણી માટે મારા સંતાનોને આઈડિયા આપું છું.
તેમણે ઉમેર્યું કે, નેતાઓ પોતાના રાજકીય લાભ માટે લોકોને લડાવવાની કળા જાણે છે. તેમણે એવી પણ ચેતવણી આપી કે પછાતપણું રાજકીય સ્વાર્થમાં બદલાઈ ગયું છે. જોકે, હું કોઈ સંત નથી. મારે પણ ઘર-પરિવાર છે. મને હંમેશા લાગે છે કે વિદર્ભમાં ૧૦,૦૦૦ ખેડૂતોની આત્મહત્યા શરમજનક છે. મારું કામ અને પ્રયોગ ખેડૂતો માટે વિચારો અને ઉદ્દેશ્યોથી પ્રેરિત છે. ખેડૂતો સમૃદ્ધ ના થાય ત્યાં સુધી અમે રોકાઈશું નહીં અને આ કામ ચાલુ રાખીશું.
ગડકરીએ પોતાના સંતાનોની કમાણી અને કંપની અંગે કહ્યું કે, પોતે માત્ર તેમને આઈડિયા આપવાનું કામ કરે છે. મારો પુત્ર ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો કારોબાર કરે છે. તેણે તાજેતરમાં જ ઈરાનમાંથી ૮૦૦ કન્ટેનર સફરજન ઓર્ડર કર્યા હતા અને અહીંથી ૧૦૦ કન્ટેનર કેળા મોકલ્યા હતા. તેણે ગોવાથી ૩૦૦ કન્ટેનર માછલીઓ સર્બિયા મોકલી હતી. પુત્રએ ઓસ્ટ્રેલિયામાં દૂધના ઉત્પાદનોની ફેક્ટરી લગાવી છે. હવે તે અબૂ ધાબી અને અન્ય જગ્યાઓ પર પણ કન્ટેનર મોકલે છે.
તેમણે ઉમેર્યું કે, તેમનો પુત્ર આઈટીસી સાથે મળીને ચોખાની ૨૬ મીલો ચલાવે છે. મને પાંચ લાખ ટન ચોખાના લોટની જરૂર હોય છે. તેથી તે મિલ ચલાવે છે અને હું તેની પાસેથી લોટ ખરીદું છું. આ એવા કેટલાક ઉદાહરણ છે, જેનાથી ખ્યાલ આવે છે કે કારોબારમાં રસ હોય તેવા લોકો કૃષિ ક્ષેત્રમાંથી પણ તકો પેદા કરી લે છે. ઈથેનોલ મુદ્દે મારા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જે અભિયાન ચાલી રહ્યું છે તે રાજકીયરૂપે મને નિશાન બનાવવા રૂપિયા આપીને ચલાવાઈ રહ્યું છે તેવો ગડકરીએ દાવો કર્યો હતો.










