![]()
– મૃત્યુ બાદ પણ 23 વર્ષનો યુવાન બીજાના શરીરમાં જીવતો રહેશે
– ભાવનગરથી ફેફસાનું પ્રથમ દાન, ગ્રીનકોરીડોરથી અંગોને અમદાવાદ અને મુંબઈ પહોંચાડાયા
ભાવનગર : બરવાળા તાલુકાના પોલારપુર ગામના બ્રેઈન ડેડ યુવાને મર્યા બાદ પણ માનવતાને જીવંત રાખી છે. બ્રેઈન ડેડ ‘ચેતન’ના અંગદાને ચાર જિંદગીને નવી ‘ચેતના’ આપી છે.
પોલારપુરના ૨૩ વર્ષીય ચેતનભાઈ દીલુભાઈ જાદવને ન્યુરોસર્જન રાજેન્દ્ર કાબરિયાએ ગઈકાલે તા.૧૩-૯-૨૦૨૫ના રોજ બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ દર્દીના મોટાભાઈ કિરીટભાઈ અને પિતા દિલુભાઈને તબીબ ડો.રાજેન્દ્ર કાબરિયા, દર્દીના પાડોશી જેસીંગભાઈ ચાવડાએ અંગદાન વિશે સંપૂર્ણ માહિતી-સમજણ આપતા તેઓએ સામાજિક ઉમદા કાર્ય માટે સંમતિ આપી હતી. પરિવારની સંમતિ મળ્યાના તુરંત બાદ મેડિકલ કોલેજના ડીન ડો.ચિન્મય શાહ, સર ટી.હોસ્પિટલના મેડિકલ અધિક્ષક ડો.અશોકવાળાના માર્ગદર્શન હેઠળ અમદાવાદા એસઓટીટીઓને જાણ કરવામાં આવતા આજે રવિવારે સવારે ૬ કલાકે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને કીડની હોસ્પિટલ દ્વારા લીવર અને બન્ને કીડની તેમજ મુંબઈની એન.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે બન્ને ફેફસાનું દાન સ્વીકાર્યું હતું.
યુવાનના અંગદાનથી ચાર શરીરને નવી જિંદગી મળી છે. ભાવનગરનું ૮૨મું અંગદાન અને ફેફસાનું આ પ્રથમ દાન હતું. જિલ્લા પોલીસ વડાના સહયોગથી દર્દીના બન્ને ફેફસાને સર ટી.હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોરની મદદથી ચાર્ટર ફ્લાઈટ દ્વારા મુંબઈ અને બન્ને કીડની, લીવરને ગ્રીન કોરીડોરથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં મગજમાં ગંભીર પ્રકારનું હેમરેજ થયું હતું
પોલારપુરના યુવાન ચેતનભાઈ જાદવને ગત તા.૧૨-૯ના રોજ વલ્લભીપુર પાસે બાઈક અને ટ્રક સાથે થયેલા અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં બેભાન હાલતમાં સર ટી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં સિટી સ્કેન કરવામાં આવતા મગજમાં ગંભીર પ્રકારનું હેમરેજ હોવાનું બહાર આવતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઘનિષ્ઠ સારવાર બાદ પણ તબિયતમાં કોઈ જ પ્રકારનો સુધારો ન થતા ગઈકાલે શનિવારે તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા.










