![]()
– 20 મીએ જવાહર મેદાન ફરતા તમામ રસ્તા પર વાહનો અવર-જવર નહીં કરી શકે
– એરપોર્ટથી જવાહર મેદાન સુધી અને તેની આસપાસના એક કિ.મી. વિસ્તારને નો ડ્રોન અને યુએવી નો ફ્લાય ઝોન જાહેર કરાયો
ભાવનગર : પ્રધાનમંત્રીના રોડ શો અને સભા સ્થળના રસ્તાને શનિવારે ૧૦ કલાક માટે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટથી જવાહર મેદાન સુધી અને તેની આસપાસના એક કિ.મી. વિસ્તારને ‘નો ડ્રોન અને યુએવી નો ફ્લાય ઝોન’ પણ જાહેર કરાયો છે.
૨૦મીએ સવારે ૬થી સાંજે ૪ વાગ્યા સુધી ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, રબ્બર ફેક્ટરી સર્કલ, રાધા મંદિર, પ્લોટ ગેટ પોલીસ ચોકી, આતાભાઈ ચોક, રૂપાણી સર્કલ અને ઘોઘાસર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો, મહિલા સર્કલ, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ સુધી આવતા તમામ રસ્તા, આતાભાઈથી રામમંત્ર મંદિર સુધીના રસ્તા, પ્લોટગેટ પોલીસ ચોકી, પરીમલ ચોક, સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા, કાળિયાબીડ પાણીની ટાંકી સુધીના રસ્તા અને એરપોર્ટથી જવાહર મેદાન સુધી કોન્વોય માર્ગ પર વાહનનોની અવર-જવર બંધ રહેશે તેમજ આ રૂટ પર રોડની બન્ને સાઈડમાં વાહન પાર્ક પણ નહીં કરી શકાય.
ઉપરાંત એરોપોર્ટથી જવાહર મેદાન સુધી સમગ્ર કોન્વોય રૂટ, એરપોર્ટની આસપાસ, સરકીટ હાઉસ તથા તેની આસપાસ તેમજ જવાહર મેદાનની આસપાસના એક કિ.મી.ના વિસ્તારને શનિવારે શરૂ રાત્રિના ૧૨ કલાકથી સાંજે ૪ કલાક એટલે કે ૧૬ કલાક માટે નો ડ્રોન તથા યુએવી (અનાર્મ્ડ એરિયલ વ્હિકલ)નો ફ્લાય ઝોન જાહેર કરી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું જારી કર્યું છે.
આ રસ્તા પરથી વાહનોની અવર-જવર થઈ શકશે
રામમંત્ર અને કાળિયાબીડ પાણીની ટાંકીથી કાળાનાળા અવર-જવર માટે રામમંત્ર-કાળિયાબીડ ટાંકી, જવેલ્સ સર્કલ, નિલમબાગ સર્કલ, કાળાનાળા તેમજ અન્ય રસ્તા પર જવા માંગતા વાહનચાલકોએ મોખડાજી સર્કલ, ટીવી કેન્દ્ર રોડ, લાલબહાદુર શાસ્ત્રી સર્કલ, તિલકનગર, દીપક ચોક, શિશુવિહાર, ક્રેસંટ સર્કલ, હલુરિયા ચોક, નવાપરા ચોક, ભીડભંજન ચોક, કાળાનાળા સર્કલ, કાળુભા રોડ, ચિતરંજન ચોક, ડાયાભાઈ ચોક, જવેલ્સ સર્કલ, દુઃખીશ્યામબાપા સર્કલ, લાલાબાપા ચોક, સરદારનગર, શિવાજી સર્કલ, સુભાષનગર ચોક સુધીના તમામ રસ્તા પરથી વાહનોની અવર-જવર કરી શકાશે.










