વડોદરાઃ પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં ગઇરાતે અશાંતિ સર્જવાના પ્રયાસને સાંખી નહિ લેવા અને આવા તત્વોને પાઠ ભણાવવા વડોદરા પોલીસે ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં વધુ ફોર્સ ગોઠવી દેવાની તજવીજ કરી છે.
ગણપતિની આગમન યાત્રા પર ઇંડા ફેંકવાના બનેલા બનાવ બાદ નવરાત્રિ પહેલાં ગઇરાતે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકાતાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો.જેથી પોલીસે થોડી જ વારમાં સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી.
ઉપરોક્ત બનાવ બાદ પોલીસ કમિશનરે આજે તમામ પોલીસ અધિકારીઓની ઇમરજન્સી મીટિંગ બોલાવી હતી અને સંવેદનશિલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.જ્યારે,ડ્રોન મારફતે પણ સતત નિગરાણી રાખવા તાકિદ કરી છે.
આ ઉપરાંત આગામી તહેવારોને અનુલક્ષીને ચાર દરવાજા તેમજ અન્ય સંવેદનશિલ વિસ્તારોમાં એસઆરપીની વધારાની ત્રણ કંપની અને એક રેપિડ એક્શન ફોર્સની કંપની ફાળવવામાં આવી છે.