Rain in Gujarat: નવરાત્રિમાં વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ આહવમાં સૌથી વધુ 4.61 ઈંચ મહુવામાં 3.03 ઈંચ, પલસાણામાં 2.87 ઈંચ, સુબીરમાં 2.36 ઈંચ, ધરમપુરમાં 2.24 ઈંચ, કપરાડામાં 2.13 ઈંચ, ઉમરપાડામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો છે.

લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા
ડાંગ જિલ્લાના આહવમાં છેલ્લા 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ ખબાકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આહવાના પિંપરી અને ચિકટીયા ગામોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ચોતરફ પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે ખાપરી, પૂર્ણા, અંબિકા અને ગિરામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 23મી અને 24મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે.
આ પણ વાંચો: વડોદરાના યુનાઈટેડ વેમાં કાદવ-કીચડથી પરેશાન ખેલૈયાઓએ ગરબા બંધ કર્યા, આયોજકોની રિફંડની તૈયારી
બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે, 28મી સપ્ટેમ્બર સુધીમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, માછીમારો માટે દરિયો ન ખેડવા અંગેની કોઈ ચેતવણી નથી.










