India-Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારતના ચિકન નેક કોરિડોર એટલે કે સિલિગુડી કોરિડોર પર નિવેદન આપીને વિવાદ ઊભો કરી દીધો છે. હાલમાં જ ચીનની મુલાકાત દરમિયાન યુનુસે દાવો કર્યો હતો કે, ‘ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને ચારે બાજુથી લેન્ડલોક છે. આથી બાંગ્લાદેશ જ ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે હિન્દ મહાસાગરનું એકમાત્ર રક્ષક છે.’ જેથી આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ સરમા બાદ હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુનુસને આર્થિક અને ભૌગોલિક રાજકીય ગતિવિધિઓથી વાકેફ કરાવ્યા હતા.
આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, ‘ભારત બંગાળની ખાડી મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન ઇનિશિયેટિવ (BIMSTEC)ના સંબંધોમાં પોતાની જવાબદારી સારી રીતે જાણે છે. તેમજ બંગાળની ખાડી અંદાજે 6,500 કિ.મી.નો એટલે કે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો પણ ધરાવે છે.’
થાઈલેન્ડમાં 6ઠ્ઠી BIMSTEC સમિટ
થાઈલેન્ડમાં 6ઠ્ઠી BISMTEC સમિટને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘બંગાળની ખાડીમાં અમારી પાસે લગભગ 6500 કિલોમીટરનો સૌથી લાંબો દરિયાકિનારો છે. અમારો ઉત્તર-પૂર્વ વિસ્તાર BIMSTEC માટે રસ્તા, રેલવે, જળમાર્ગો, ગ્રીડ અને પાઇપલાઇન્સના અસંખ્ય નેટવર્ક સાથે કનેક્ટિવિટી હબ તરીકે ઉભરી રહ્યો છે.’
આ અંગે વધુમાં વાત કરતા જયશંકરે કહ્યું કે, ‘ત્રિપક્ષીય હાઇવે બની જવાથી ભારતના ઉત્તર પૂર્વને પેસિફિક મહાસાગર સાથે જોડવામાં આવશે, જે એક ગેમ ચેન્જર છે. અમે જાણીએ છીએ કે આ વિશાળ ભૂગોળમાં માલસામાન, સેવાઓ અને લોકો માટે અમારો સહકાર અને સગવડ એ જરૂરી શરત છે. આ ભૌગોલિક-વ્યૂહાત્મક પરિબળને ધ્યાનમાં રાખીને, અમે છેલ્લા એક દાયકામાં BIMSTECને મજબૂત કરવા માટે વધતી ઊર્જા અને ધ્યાન સમર્પિત કર્યું છે.’
ભારતના ચિકન નેક કોરિડોર વિષે મોહમ્મદ યુનુસે શું કહ્યું હતું?
મોહમ્મદ યુનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશમાં રોકાણ વધારવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે ભારતના પૂર્વોત્તર રાજ્યોને લઈને નિવેદન આપ્યું હતું, જેને ભારત વિરોધી ઈરાદા હોવાનું જોવામાં આવી રહ્યું છે.
યુનુસે કહ્યું, ‘ભારતના પૂર્વ ભાગમાં આવેલા સાત રાજ્યો, જેને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે, ચારે બાજુથી જમીનથી ઘેરાયેલા છે. તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં સમુદ્રનો એકમાત્ર રખેવાળ છે.’ આ નિવેદન માત્ર ભારતની ભૌગોલિક સ્થિતિ પર ટિપ્પણી કરતું નથી પરંતુ ચિકન નેક કોરિડોરના મહત્ત્વને પરોક્ષ રીતે પડકારવાનો પ્રયાસ પણ કરે છે.
આ પણ વાંચો: તમારા મુખ્યમંત્રી બંધારણની મજાક ઉડાવે તો શું અમે હાથ પર હાથ મૂકી બેસી રહીશું?, કેમ ભડકી સુપ્રીમ કોર્ટ?
ચિકન નેક શા માટે ધરાવે છે મહત્ત્વ?
ચિકન નેક, જેને સિલિગુડી કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત માટે વ્યૂહાત્મક અને ભૌગોલિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે. તે પશ્ચિમ બંગાળમાં સ્થિત જમીનની એક સાંકડી પટ્ટી છે, જે સાત ઉત્તર પૂર્વીય રાજ્યો (આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા) અને સિક્કિમને બાકીના ભારત સાથે જોડે છે.
આ કોરિડોર ઉત્તર પૂર્વ ભારત માટે એકમાત્ર લેન્ડ લિંક છે. જો તે કાપવામાં આવે તો લગભગ 5 કરોડની વસ્તી ધરાવતા પૂર્વોત્તર રાજ્યો મુખ્ય ભારતથી અલગ થઈ શકે છે.
ચિકન નેક દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરવામાં આવે છે. દાર્જિલિંગ ચા અને લાકડા જેવા વેપાર માટે પણ આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ છે. તે ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ ને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે જોડાણને મજબૂત કરવાની વ્યૂહરચના છે.