Jamnagar Navratri 2025 : જામનગર શહેર અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદી ઝાપટાને લઈને નવરાત્રી મહોત્સવના આયોજનમાં ભંગ પડ્યો હતો. શહેર તેમજ આસપાસના વિસ્તારમાં કેટલાક અર્વાચીન મહોત્સવના સ્થળે પાણી ભરાઈ જેવા જેવી સમસ્યા ઉદ્ભવી હોવાના કારણે ગઈકાલે રાત્રે 10 જેટલા સ્થળો પર એક દિવસ માટે નવરાત્રીના ગરબા યોજવાનું બંધ રખાયું હતું.
ગઈકાલે સાંજે પડેલા ઓચિંતા વરસાદના કારણે ગરબા મંડળ ના સ્થળોમાં પાણી ભરાયું હતું, અને તે પાણીનો નિકાલ કરવો શક્ય ન હોવાથી અથવા તો લોન તેમજ અન્ય માટી વાળી જમીન કે જેમાં દાંડિયા ખેલૈયાઓ રમી શકે તેમ ન હોવાના કારણે એક દિવસનું આયોજન બંધ રહ્યું હતું. જેથી કેટલાક દાંડિયા ખેલૈયાઓ નિરાશ બન્યા હતા.
જોકે વરસાદના વિઘ્નની વચ્ચે પણ કેટલાક ગરબા મંડળના આયોજકોએ મોડી સાંજે દોડધામ કરી હતી, અને ગરબા મંડળના ગ્રાઉન્ડમાંથી પાણી કઢાવવા જેવી સમસ્યા વગેરેને દૂર કરી લઇ દાંડિયા ખેલૈયાઓ માટે ફરીથી ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું હતું, જેના કારણે કેટલાક રાસ મહોત્સવ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.
વરસાદી માહોલને લઈને મંડપ સમિયાણા, સાઉન્ડ સિસ્ટમ, એલ.ઇ.ડી. સ્ક્રીન, બેનર-પોસ્ટર વગેરેને સહી સલામત રાખવા માટે આયોજકોને ભારે કવાયત કરવી પડી હતી. જોકે વરસાદ 15 મિનિટ બાદ રોકાઈ ગયો હોવાથી નવરાત્રી મહોત્સવના આયોજકોએ રાહતનો શ્વાસ લીધો હતો.