![]()
વિશ્વ આરોગ્ય સંસ્થાનો દ્વિતીય અહેવાલ જારી : અભ્યાસના તારણોઃ નમક ઘટાડવા સહિત ખોરાકમાં ફેરફારથી તેમજ આયુર્વેદિક ઉપચારથી પણ બીપી નિયંત્રીત કરી શકાય છે
રાજકોટ, : બે દિવસ પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેનો બીજો વૈશ્વિક હાયપરટેન્શન રિપોર્ટ જારી કર્યો છે જે મૂજબ ગત વર્ષ ઈ.સ.૨૦૨૪માં ૧૪૦ કરોડ લોકો હાઈપરટેન્શન (અર્થાત્ લોહીનું ઉંચુ દબાણ) સાથે જીવે છે અને તેમાં દર પાંચમાંથી માત્ર એક વ્યક્તિ જ જીવનશૈલી,ખોરાકમાં ફેરફાર અથવા તો દવાથી કંટ્રોલ કરી શક્યા છે. અર્થાત્ 80 ટકાનું બી.પી. કે જે ભવિષ્યમાં આગળ વધે તો હાર્ટ એટેક,કિડની રોગ,ડિમેન્શિયા વગેરેનું કારણ બને તે નિયંત્રીત કરી શક્યા નથી.
વધુમાં હૂના ડાયરેક્ટરે જણાવ્યા મૂજબ વિશ્વમાં દર કલાકે 1000 વ્યક્તિ સ્ટ્રોક અને હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે જેનું મૂળ કારણ હાઈ બ્લડપ્રેસર છે. આ રોગ નિવારી શકાય તેવો છે છતાં દર વર્ષે એક કરોડથી વધુ લોકો તેનાથી મૃત્યુ પામે છે. હાઈ બીપી સહિતના હૃદયરોગથી સારવાર,મૃત્યુ વગેરેથી ઈ.સ. 2011થી 2025 દરમિયાન 3.7 ટ્રીલીયન યુ.એસ.ડોલરનુંોઆર્થિક નુક્શાન પણ ગયેલ છે.
વિશ્વભરમાં હૃદયરોગ અંગે અનેક સંશોધનો થયા છે અને હજુ થતા રહ્યા છે. જેમાં ડેશ (ડાયેટરી એપ્રોચીઝ ટુ સ્ટોપ હાઈપરટેન્શન) ડાયેટ પર અને ખોરાકમાં નમકનું પ્રમાણ ઘટાડવા પર વધુ ભાર મુકાયો છે. અમેરિકામાં ૪૫૯ નાગરિકો પર સંશોધન કરાયું તેમાં રૂટીન મનને ગમે તેવો ખોરાક ખાતા લોકો કરતા ફળ-શાકભાજી અને ડેશ ડાયેટ પર રહેલા લોકોનું બી.પી.આઠ સપ્તાહમાં ઘટયું હતું. આ જ રીતે નમકનું પ્રમાણ ઘટાડનારાનું બી.પી.પણ નોર્મલ થવા લાગે છે.
ભારતના પ્રાચીન અને સચોટ વિજ્ઞાાન, આયુર્વેદિક ઉપચાર ઉપર પણ સંશોધનો થયા છે જેના તારણ મૂજબ તેનાથી પણ બી.પી.કંટ્રોલ કરી શકાય છે. એક રિસર્ચ મૂજબ આયુર્વેદમાં હૃદયરોગ માટે અગ્નિમાંદ્ય , વાત દોષ અને ધાતુ ક્ષય એ મુખ્ય કારણો છે જેની અક્સીર દવાઓ આયુર્વેદમાં ઉપલબ્ધ હોય છે. ભારતમાં તેના જનહિતમાં સંશોધનની વિપુલ તકો છે.










