તાલાલાના ભોજદે ગીર ગામના દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી 10 લાખની ખંડણી માંગી હતી
તાલાલા ગીર, : તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડયાને હનીટ્રેપનાં ખોટા કેસમાં ફસાવનાર મુખ્ય આરોપી સલીમ બહાઉદ્દીન લાંઘા રે.ભોજદે ગીર વાળાની ધરપકડ કરી છે. આ બનાવની વિગત એવી છે કે ગીતા રબારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપમાં મેસેજ કરી મિત્રતા કેળવી સગીર યુવતીએ કથાકારને સાંગોદ્રા ગીર ગામની સીમમાં મળવા બોલાવેલ હતા ત્યારબાદ આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર મારી ડાબા હાથમાં અને પગમાં ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ગાડીનાં કાચ તોડી નાખી રૂ. 7,000લુંટી હતા. આ બધું રફેદફે કરવા રૂ. 10 લાખની ખંડણીની માંગણી કરી હતી.
આ બનાવ અંગે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જયારે મુખ્ય આરોપી સલીમ લાંઘા ફરાર હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, હોન્ડા, રોકડ રકમ રૂ. 7,000 મળી કુલ રૂ. 62,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. હનીટ્રેપનો મુખ્ય આરોપી સલીમ વિરૂદ્ધ અગાઉ તાલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુના નોંધાયેલ છે. આ બનાવ અંગે તાલાલા પી.આઈ. જે.એન. ગઢવીએ મુખ્ય આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.